કોવિડ -19 સામે સાવચેતીનાં પગલાં લેવાના ભાગ રૂપે હવે રેલવેની ટિકિટના બદલે માત્ર ક્યુઆર કોડથી જ યાત્રી તેની ટ્રેન સફર કરી શકશે આજથી પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે રેલવે તંત્ર દ્વારા પ્રયાગરાજ સ્ટેશન પર ક્યુઆર કોડ આધારિત રિઝર્વ ટિકિટ સ્કેનિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જે હવે પછી ગુજરાત સહિત દેશભરની ટ્રેનોમાં લાગુ પડશે.
ટ્રેનનો પ્રવાસ હવે ટિકિટથી નહીં ક્યુ આર કોડથી થશે
કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં હાફ ટિકિટની જોગવાઈ નહીં
કોરોના વાઈરસના કારણે યાત્રીઓની સુરક્ષા અર્થે દરેક સ્ટેશન પર યાત્રીઓની આવન માટે અલગ અને જાવન માટે અલગ અલગ રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. થર્મલ સ્ક્રીનિંગ વગર યાત્રીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ક્યુઆર કોડના આધારે યાત્રી આરામથી ટ્રેનમાં સફર કરી શકશે તેવું રેલવે તંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું. ક્યુઆર કોડનો ડેટા સ્ટેશન પર મૂકેલાં મશીનમાં સેવ થઇ જશે.
સ્ટેશન પહોંચેલા યાત્રીએ સ્ક્રીનિંગ કરાવ્યા બાદ ગેટ પાસે રહેલા કર્મચારીને માત્ર ક્યુઆરકોડ બતાવવાનો રહેશે. કર્મચારી તેને ડિસ્ટન્સ રાખીને સ્કેન કરી લેશે. જેના આધારે યાત્રીનું બોર્ડિંગ કન્ફર્મ થઇ જશે.
ત્યારબાદ તંત્રની સિસ્ટમમાં ચાર્ટ પ્રિન્ટ થયેલો હશે. જેની જાણકારી પહેલેથી યાત્રીને હોવાના કારણે તેને ચાર્ટની જરૂર રહેશે નહીં. આઈઆરસીટીસી દ્વારા રિઝર્વ ટિકિટ ધરાવનાર તમામ યાત્રીઓને તેમના મોબાઈલ પર ક્યુઆરકોડ મોકલી દેવામાં આવશે. આ ઉપરાંત કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં 5થી 12 વર્ષનાં બાળકોનું અર્ધું નહીં પરંતુ પૂરું ભાડું વસુલવામાં આવશે. ટ્રેનોમાં વેન્ડરને પ્રવેશવાની પરવાનગી મળશે નહીં. બર્થ નહીં મળી હોય તેવા કોઈ પણ યાત્રીને ટ્રેનમાં પ્રવેશ મળશે નહીં.