નોકરની નામે ભરતી કૌભાંડ, નોકરીના નામે કરોડોનો તોડ...આવું એક મસમોટું કૌભાંડ વડોદરાથી ઝડપાયું છે. જેમાં રેલવે ભરતીના નામે અનેક યુવાનોને લૂંટી લેવાયા છે. એક ટોળકીએ નકલી જાહેરાતો દ્વારા યુવાનોને પોતાના નકલી ભરતી કૌભાંડમાં ફસાવ્યા છે અને તેમને કંગાળ બનાવ્યા. પરંતુ આ ટોળકીનો ભાંડો ફૂટતા પણ વાર ન લાગી અને સૌથી મોટા કૌભાંડ ઝડપાયું.
બોગસ રેલવે ભરતી કૌભાંડ
વડોદરા SOGએ કર્યો પર્દાફાશ
રેલવેમાં ભરતીના નામે છેતરપિંડી
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે,રાજ્ય અને દેશમાં બેરોજગારી કેટલી હદે વધી રહી છે. યુવાનો નોકરી માટે કેટલી ભાગદોડ કરી રહ્યા છે. એક નાનકડી ભરતી માટે લાખો યુવાનો અપ્લાય કરી રહ્યા છે. તેવામાં રેલવેમાં ભરતીના નામે સૌથી મોટું કૌભાંડ વડોદરામાં ઝડપાયું છે. જેમાં દિલ્હી રેલવે ભરતી રેલવે કોર્ટના નામે ગુજરાતના 52 યુવાનો પાસેથી 1 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરવામાં આવી છે. જોકે પોલીસે આ તોડની ભનક લાગતા જ ટોળકીની ઓફિસ પર રેડ પાડી. જેમાં મહાઠગ તુષાર પુરોહિત અને તેના બે સાગરીત કાૌશલ પારેખ અને દિલીપસિંહ સોલંકી ઝડપાઈ આવ્યા.
આ યુવાનો નકલી ભરતી કાૌભાંડનો ભોગ કેવી રીતે બન્યા તે અંગે વાત કરવામાં આવે તો આરોપીઓએ સૌથી પહેલા રેલવેમાં ભરતીની જાહેરાત બહાર પાડી. જે બાદ અરજી ફોર્મ મંગાવ્યા. ત્યારબાદ દિલ્લી કે જયપુરમાં હોટેલ ભાડે રાખી ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન કરતા. રેલવેની જુદી-જુદી જગ્યાઓના બોગસ નિમણૂક પત્ર આપીને ઉમેદવારો પાસેથી ઠગાઈ કરતા હતા. એટલું જ નહીં મહાઠગ તુષાર પુરોહિત અને તેની ગેંગ જે ઉમેદવારો વિશ્વાસ ન આવે તેને મુંબઈ અને દિલ્લી સ્થિત રેલવે મંત્રાલયની ઓફિસમાં વિઝિટ પણ કરાવતા હતા. મુખ્ય આરોપી કાૌશલ પારેખ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોને શોધતો અને તેમની પાસેથી પૈસા પડાવી કમિશન મેળતો હતો. જ્યારે દિલીપશસહ સોલંકી દિલ્હી ખાતેની સ્પાઈસ હોટેલનો કર્મચારી છે. અને તેની જ હોટેલને ભાડે રાખીને પરીક્ષાનું આયોજન કરતો હતો.
હાલના સમયમાં રોજગારી સૌથી મોટી ચિંતાનો વિષય છે કારણ કે, લાખો નહીં દેશમાં કરોડો યુવાનો બેરોજગાર બેઠા છે. કોરોનામાં લાખો યુવાનોએ નોકરી ગુમાવી છે. લાખો લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. તેવામાં આવા લૂંટારાઓએ પોતાની દુકાનો શરૂ કરી યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ત્યારે હવે ખુદ યુવાનોએ જ આવા તત્વોથી બચવું પડશે. આ માટે સૌથી પહેલા તો પરીક્ષાની આવેલી જાહેરાતની યોગ્ય ખરાઈ કરો. જે તે ભરતી બોર્ડે જ ભરતી આપી છે કે નહીં તેની ચકાસણી કરો. પૈસાથી કોઈ સરકારી નોકરી નથી મળતી તે ધ્યાને રાખો. પૈસાથી નોકરી આપવાનો દાવો કરે તે છેતરપિંડી જ હોય તેવું સમજી લો. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નોકરી રૂપિયા આપવાથી ક્યારેય ન મળે. મહેનતનું સ્થાન પૈસા ન લઈ શકે એટલું યાદ રાખો. અને જો કોઈ નોકરીની લાલચ પૈસાથી આપે તો પોલીસનો સંપર્ક કરો. જો આટલી વસ્તુ યાદ રાખશો તો તમે પણ આ 52 યુવાનોની જેમ આવા લૂંટારાઓનો ભોગ નહીં બનો..