કોરોના વાયરસના કારણે લોકડાઉનના પગલે બધી જ ટ્રેન બંધ કરવામાં આવી છે. પરંતુ રેલવેએ 3 મે બાદની ટ્રેન માટે કોઈ જ રિઝર્વેશન ચાલુ રાખ્યું નથી. જેનો સીધો અર્થ થાય છે કે જો લોકડાઉન પૂર્ણ થયા તો પણ ચોથી તારીખે બધી જ ટ્રેન શરુ થઇ જશે તે વિચારવું ખોટું રહેશે. નોંધનીય છે કે ટ્રેન તથા પરિવહન વિશે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર કરશે.
કેન્દ્ર સરકાર લીલી ઝંડી બતાવે પછી ખાસ ગાઈડલાઈન પ્રમાણે શરુ થશે ટ્રેનો
શરૂઆતનાં દિવસોમાં ભાડામાં છૂટછાટ પર રોક લાગી શકે
માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવનારને મુસાફરી કરવાની છૂટ
દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ જે રેલવે બંધ ના થઈ તે રેલવેને કોરોના વાયરસે રેડ સિગ્નલ બતાવી દીધું. હવે લોકડાઉનને સમાપ્ત થવામાં થોડાક જ દિવસો બાકી છે ત્યારે રાજ્યો સાથે વાતચીત બાદ કેન્દ્ર સરકાર ગાઇડલાઈન બહાર પાડી શકે છે. પરંતુ જ્યારે પણ ટ્રેનોને શરુ કરવામાં આવશે તેના પર કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો રહેશે જેને જોતા રેલવે એક પ્લાન બનાવાવની તૈયારીમાં છે.
જ્યારે પણ રેલવેને મંજૂરી આપવામાં આવે ત્યારે માત્ર અમુક જ ટ્રેનોને શરુ કરવાની મંજૂરી આપવામાં આવશે. તથા શરૂઆતમાં ટ્રેનોનું ભાડું પણ વધારે રાખવામાં આવશે જેથી ભીડ ઓછી રહે.
આ સિવાય સામાન્ય દિવસોમાં જે લોકોને કન્સેશન આપવામાં આવતું હતું તે આ સમય દરમિયાન બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. નોંધનીય છે કે રેલવે દ્વારા વરિષ્ઠ નાગરીકોને મુસાફરી દૂર રહેવા આગ્રહ કરવામાં આવી શકે છે જે માટે આપવામાં આવતા લાભો બંધ કરવામાં આવી શકે છે.
જનરલ કોચમાં ભીડના કારણે સંક્રમણ વધવાની શક્યતા છે તેને જોતા માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકોને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય AC ડબ્બાઓને પણ હાલમાં બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે.
રેલવેનાં સ્લીપર ક્લાસનાં પાંચ હજાર કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવી નાખવામાં આવ્યા છે. જેના માટે વચ્ચેની સીટ હટાવી દેવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એવામાં આ જ ડબ્બાઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે જેથી લોકો દૂર દૂર રહી શકે.
આ સિવાય રાજયો સાથે ચર્ચા બાદ દેશનાં અમુક જ સ્ટેશનો પર જ ટ્રેનો ચલાવવામાં આવશે. જે વિસ્તારોમાં કોરોના વાયરસના વધુ કેસ હોય ત્યાં ટ્રેનોની અવર જવર હાલમાં બંધ રહી શકે છે.
રેલવેમાં યાત્રીઓની સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા પણ મોટો પડકાર છે. જેથી કર્મચારીઓની સુરક્ષા માટે ગૃહમંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા દિશાનિર્દેશો બહાર પાડવામાં આવી શકે છે. એવામાં ટ્રેનો શરુ થયા બાદ બધાની જવાબદારી રેલ્વેની રહેશે.