રેલ્વેના 81 હજાર કરોડ રૂપિયાના મહત્વના પ્રોજેક્ટમાં આવતી અડચણોને દૂર કરવા માટે રેલમંત્રી પીયુષ ગોયલે નવ રાજ્યોના સીએમને પત્ર લખ્યો છે અને કહ્યું કે પીએમ મોદી આ પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે.
પીયુષ ગોયલે નવ રાજ્યોને આગ્રહ કર્યો કે તે DFC પ્રોજેક્ટના રસ્તામાં આવતી અડચણો દૂર કરે
આ પ્રોજેક્ટ પર પીએમ મોદી પોતે નજર રાખી રહ્યા છે
આ યોજના આશરે 81 હજાર કરોડ રૂપિયાની છે
કેટલીક જગ્યાઓ પર વિરોધના કારણે કોરિડોરના રસ્તામાં આવી રહી છે અડચણો
81 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ
રેલમંત્રી પીયુષ ગોયલે નવ રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખીને ડેડીકેટેડ ફ્રેટ કૉરીડોર (DFC) પરિયોજનામાં અડચણો દૂર કરવા આગ્રહ કર્યો છે અને કહ્યું કે પીએમ મોદી પરિયોજના પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે. ગોયલે નવ રાજ્યોનાં મુખ્યમંત્રીઓના પત્રમાં જમીન સંબંધી મુદ્દાઓ, ગ્રામીણ માંગો અને રાજ્યના અધિકારીઓ દ્વારા ધીમી ગતિથી કામ કરવા મામલે સવાલ ઉઠાવ્યા. 81 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આ બધા મુદ્દાના કારણે પ્રભાવિત થયો છે.
ગુજરાત સહીત નવ રાજ્યોના સીએમને લખાયો પત્ર
રેલમંત્રીએ મુખ્યમંત્રીઓને આ મામલે હસ્તક્ષેપ કરવા આગ્રહ કર્યો છે. PMO તરફથી ઉઠાવવામાં આવેલ ચિંતા બાદ ગોયલે ગુજરાત, યુપી, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના મુખ્યમંત્રીઓને પત્રમાં કહ્યું કે કઈ રીતે DFC (ડેડીકેટેડ ફ્રેટ કૉરીડોર) લાંબા સમયથી લંબિત મુદ્દો બની ગયો છે જેનું અત્યાર સુધી કોઈ સમાધાન આવ્યું નથી.
રેલ્વે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે હાલમાં બે ડેડીકેટેડ ફ્રેટ કૉરીડોર નિર્માણાધીન છે- પશ્ચિમમાં યુપીથી મુંબઈ સુધીનો પ્રોજેક્ટ અને પૂર્વમાં લુધિયાણાથી પ.બંગાળ સુધી. આ કોરિડોરનું કામ ડિસેમ્બર 2021 સુધી પૂર્ણ કરવાનું હતું પણ હવે તેની તિથી છ મહિના આગળ લંબાવી દેવામાં આવી છે.
યોગી આદિત્યનાથને ખાસ આગ્રહ
નોંધનીય છે કે મંત્રીએ યુપીના મુખ્યમંત્રીને વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને તેમના રાજ્યમાં આવી રહેલી અડચણોનું સમાધાન કરવા આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં સૌથી વધુ એક હજાર કિમી સુધીનો વિસ્તાર યુપીમાં જ છે. ગોયલે કહ્યું કે પ્રધાનમંત્રી પરિયોજનાની પ્રગતી પર નજર રાખી રહ્યા છે. આ પ્રોજેક્ટ 1000 કિમીથી વધારે યુપીમાંથી જ પસાર થાય છે.
ગોયલે પ.બંગાળના સીએમ મમતા બેનર્જીને પત્રમાં કહ્યું કે વિભિન્ન જિલ્લાઓમાં મધ્યસ્થતા અને જમીન પર કબ્જાને લઈને આવી રહેલા અડચણોના કારણે પરિયોજનામાં પ્રતિકૂળ પ્રભાવો પડી રહ્યા છે. તમે આ વાત સમજીને પરિયોજનાને શરુ કરવા માટે આ બાધાઓને દૂર કરો તે આવશ્યક છે.
સપ્ટેમ્બરમાં બેઠક
હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ જેવા રાજ્યોમાં જમીન સંપાદનના કારણે પરિયોજનામાં વિલંબ થઇ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બરના રોજ યુપી, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના અધિકારીઓ સાથે એક બેઠક આયોજિત કરવામાં આવશે.