જો તમે ઓનલાઈન કે ઓફલાઈન ટિકિટ બુક કરો છો તો તમારા માટે IRCTCએ એક એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ એવા લોકો માટે છે જેઓ રેલવેની મુસાફરી દરમિયાન જાણકારી અથવા ફરિયાદ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
IRCTCએ રેલ્વેના મુસાફરોને કર્યાં સાવચેત
IRCTCએ એક એલર્ટ જાહેર કર્યું છે
સોશિયલ મીડિયાના ઉપયોગથી થઈ શકે છે ફ્રોડ
IRCTCના આ એલર્ટ પર જો તમે ધ્યાન ન આપ્યું તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. હકીકતમાં IRCTCએ ટ્વિટર પર એક સાથે ઘણાં ટ્વિટ કર્યા છે. જે મુજબ, IRCTCના એવા યૂઝર્સને ટારગેટ કરવામાં આવી રહ્યા છે જેઓ પોતાની ફરિયાદ કે પુછપરછ દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાના મોબાઈલ નંબર, પીએનઆર અને ટ્રાન્ઝેક્શન આઈડી જેવી અંગત માહિતી શેર કરે છે.
આવી માહિતી શેર કરતા યુઝર્સ સાથે બેંકિંગ ફ્રોડ થઈ શકે છે. જેથી આવી કોઈ પણ પ્રકારની અંગત માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર ન કરવા IRCTCએ અપીલ કરી છે.
આ સાથે IRCTCએ જણાવ્યું કે, ભારતીય રેલવે માત્ર ડાયરેક્ટ મેસેજ દ્વારા જ માહિતી માંગે છે. એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે IRCTCની રિફંડ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે. જેથી તેમાં કોઈપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપની જરૂર નથી. એટલે કે તમે IRCTCથી ટિકિટ કેન્સલ કરાવો છો તો રિફંડની પ્રક્રિયા માટે તમારે કોઈની મદદ લેવાની જરૂર નથી. જેથી ગ્રાહકોએ એવા કોલ અને મેસેજથી સાવધાન રહેવું. આવા ફ્રોડ મેસેજ કે કોલ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે.