જ્યારે પણ તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે ઓઢવા પાથરવાનો સામાન લેવામાં એક બેગ વધુ થઇ જાય છે પરંતુ હવે તમે તે ચિંતામાંથી મુક્ત થઇ જશો.
રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર
મુસાફરોની ઉંઘવાની તકલીફનો લાવ્યા ઇલાજ
લાંબો પ્રવાસ કરતા લોકોને મળશે સુવિધા
જેટલી વાર લાંબો પ્રવાસ કરવાનો વિચાર આવે ત્યારે સામાન સાથે એક વધુ બેગ ફરજીયાત થઇ જ જાય છે અને તે છે બ્લેન્કેટની પરંતુ હવે રેલવેએ તમારી આ અગવડનું સોલ્યુશન કાઢ્યું છે. રેલવેએ એક જર્મ ફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ તૈયાર કર્યુ છે.
300 રૂપિયામાં મળશે બેડરોલ
કોરોનાની વેક્સિન આવી અને વેક્સિનેશન શરૂ થયુ તે બાદ જીવન ધીમે ધીમે પહેલા જેવુ થઇ રહ્યું છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન સહિત અન્ય મોટા રેલવે સ્ટેશન પર યાત્રીઓને જર્મફ્રી ડિસ્પોઝેબલ બેડરોલ મળશે. 300 રૂપિયાની કિંમતવાળા આ બેડરોલમાં યાત્રીને એક ધાબળો, બે ચાદર, તકિયો અને કવર, માસ્ક, ટૂથ બ્રશ, પેસ્ટ, કાંસકો, પેપરસોપ, સેનેટાઇઝર અને પથારીને સાથે લઇ જવા માટે એક બેગ મળશે. જો મુસાફર માત્ર ધાબળો લેવા જ ઇચ્છે છે તો તેને 150 રૂપિયા આપવા પડશે.
થોડા સ્ટેશન પર સુવિધા શરૂ
ઉત્તર રેલવે મહાપ્રબંધકે સોમવારે જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આ સુવિધાની શરૂઆત કરી છે. અજમેરી ગેટ અને પહાડગંજ બંને તરફ તેના કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશ સાથે જ હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર પણ આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. રેલવેની યોજના છે કે આવતા અઠવાડીયે જુની દિલ્હી અને ગાઝીયાબાદ રેલવે સ્ટેશન પર પણ આ સુવિધાનો મુસાફરો લાભ લે. અલ્ટ્રા વાયોલેટ આધારિત સેનેટાઇઝર મશીન પણ રેલવે સ્ટેશન પર લગાવવામાં આવી છે. રેલવેને આશા છે કે આ બંને સુવિધાઓથી રેલવેને દર વર્ષે એક કરોડ રૂપિયાની એક્સ્ટ્રા કમાણી થશે.
ગયા વર્ષે રોકી દેવામાં આવી હતી સુવિધા
પહેલા એસી કોચમાં મુસાફરી કરનારા લોકોને એક ધાબળો, 2 ચાદર, એક તકિયો, ટોવેલ આપવામાં આવતું હતું પરંતુ કોરોના સંક્રમણ ફેલાવવાથી રોકવા માટે ગયા વર્ષે માર્ચમાં આ સુવિધાને બંધ કરી દેવામાં આવી હતી. લગભગ એક વર્ષ બાદ રેલવેએ આ સુવિધાને અલગથી ચાલુ કરવા માટેનો નિર્ણય કર્યો છે.