લોકડાઉનને કારણે વિવિધ રાજ્યોમાં અટવાયેલા પરપ્રાંતિય મજૂરો પાસેથી ભાડુ વસૂલવા બદલ રેલવેની આકરી ટીકા થઈ છે. ત્યારે પોતાનો લૂલો બચાવ કરતા રેલવેએ આ અંગે ખુલાસો આપ્યો છે. રેલવેનું કહેવું છે કે તે મજૂરોને ટિકિટ નથી વેચી રહ્યું. રેલવેએ જણાવ્યું હતું કે તે અત્યાર સુધી 34 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે રેલવેનો આ પાંગળો બચાવ છે. રેલવે ભાડુ વસૂલે છે. તેવો રેલવેનો સત્તાવાર પરિપત્ર પણ બહાર આવી ચૂક્યો છે. એટલું જ નહીં વિદેશથી ભારતીયોને ફ્લાઈટના ખર્ચે મફત લાવનાર સરકારે પણ લૂલો બચાવ કરતા મજૂરોને 85 ટકા સબસીડી આપ્યાની વાતો કરી ફરી મુર્ખી બની છે.
રેલવેએ કહ્યું, ટિકિટ નથી વેચી રહ્યા માત્ર 15 ટકા રાજ્ય સરકાર પાસે લઈએ છીએ
સંબિત પાત્રાએ કહ્યું રેલવે 85 ટકા સબસિડી આપી રહ્યું છે
રાહુલને ટ્વીટ કરતા પાત્રાએ પરિપત્ર અટેચ કરી કોંગ્રેસ રાજ્યોને તે અનુસરવા કહ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રેલવેએ જણાવ્યું હતું કે, "રેલવે રાજ્ય સરકારો પાસેથી આ વર્ગ માટે માત્ર ટોકન ભાડું વસૂલી રહ્યું છે. જે રેલવેના કુલ ખર્ચના માત્ર 15 ટકા છે. રેલવે કોઈ પણ પ્રવાસીને ટિકિટનું વેચાણ કરી રહ્યું નથી અને ફક્ત રાજ્યો દ્વારા આપવામાં આવેલી યાદી મુજબ જ મુસાફરોને પ્રવાસ કરવા દઈ રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી 34 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી ચૂક્યું છે. તે આ કપરી પરિસ્થિતિમાં પણ ગરીબોને આરામદાયક સુવિધા પુરી પાડી રહ્યું છે.
મંત્રાલયે કહ્યું કે તે પરપ્રાંતીઓને મફત ખોરાક અને સીલ પેક પાણીની બોટલ આપી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવેએ જણાવ્યું હતું કે, "અમે કામદારો ખાસ ટ્રેનો ચલાવી રહ્યા છીએ અને સામાજિક અંતર જાળવી રાખતા દરેક કોચમાં બર્થ ખુલ્લી રાખીએ છીએ. ટ્રેનો ગંતવ્ય સ્થળ પરથી ખાલી પરત ફરી રહી છે.
રેલવે પરપ્રાંતિય કામદારો માટે ભાડા પર 85% સબસિડી આપે છે : ભાજપ
ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, રેલવે દ્વારા પરપ્રાંતિય કામદારોને વતન પહોંચાડી રહેલી વિશેષ ટ્રેનોના ભાડા પર 85 ટકાની સબસિડી આપવામાં આવી છે અને બાકીનું 15 ટકા ભાડું રાજ્ય સરકારે ચૂકવવું પડશે. આ મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યા બાદ પક્ષની પ્રતિક્રિયા આવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે સંબંધિત રાજ્ય સરકાર પણ ટિકિટ માટે ચૂકવણી કરી શકે છે.
તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ સરકાર આ કરી રહી છે. તેમણે રાહુલ ગાંધીને કોંગ્રેસ શાસિત રાજ્યોને પણ આવું કરવા કહ્યું છે. પાત્રાએ ટ્વીટ કર્યું, 'રાહુલ ગાંધી, મેં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા જોડી દીધી છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ સ્ટેશન પર ટિકિટ વેચવામાં આવશે નહીં. રેલવેએ 85 ટકા સબસિડી આપી છે અને રાજ્ય સરકારો 15 ટકા ચૂકવશે. રાજ્ય સરકાર ટિકિટના પૈસા ચૂકવી શકે છે (મધ્યપ્રદેશ સરકાર ચૂકવણી કરે છે). કોંગ્રેસ શાસિત રાજ્યોને પણ આવું કરવા કહે. '
Railways is charging only standard fare for this class from State Governments which is just 15% of the total cost incurred by Railways. Railways is not selling any tickets to migrants and is only boarding passengers based on lists provided by States: Railway Ministry Sources https://t.co/TiPKcBBTHZ
તે જ સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, 'કોંગ્રેસે મજૂરોની નિઃ શુલ્ક રેલ મુસાફરીની માંગ વારંવાર કરી છે. કમનસીબે ન તો સરકારે સાંભળ્યું ન રેલવે મંત્રાલયે. તેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે કે રાજ્ય કોંગ્રેસ સમિતિનું દરેક એકમ દરેક જરૂરીયાતમંદ મજૂર અને કામદારની રેલ મુસાફરી માટે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.
રાહુલે કહ્યું - ગાંઠ ઉકેલી લો
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'એક તરફ રેલવે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસેથી ટિકિટ ભાડા લે છે, તો બીજી તરફ રેલવે મંત્રાલય પીએમ કેર ફંડમાં 151 કરોડ રૂપિયા દાન આપી રહ્યું છે. ફક્ત આ ગાંઠ ઉકેલી આપો.
નમસ્તે ટ્રમ્પ પર 100 કરોડનો ખર્ચ તો પછી મજૂરો માટે મફત રેલ મુસાફરી કેમ નહીંઃ પ્રિયંકા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ સવાલ કર્યો હતો કે જ્યારે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ પર 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકાય છે, તો સંકટ સમયે કામદારોને મફત રેલ મુસાફરી કેમ નહીં કરાવી શકાય?
તેમણે ટ્વીટ કર્યુ કે, 'મજૂર રાષ્ટ્ર નિર્માતા છે. પરંતુ આજે તેઓ ઠોકરો ખાઈ રહ્યા છે. આ આખા દેશ માટે પીડાદાયક ઘટના છે. જ્યારે આપણે વિમાન દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને મફતમાં પાછા લાવી શકીએ છીએ જ્યારે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ રાજ્યના ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. જ્યારે રેલવે પીએમ કેર ફંડમાં રૂ .151 કરોડ આપી શકે છે. ત્યારે મજૂરોને સંકટની આ ઘડીમાં આપણે મફત રેલ મુસાફરીની સુવિધા કેમ આપી શકતા નથી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તે ઘરે પરત ફરતા કામદારોની રેલ પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. '
સુબ્રમણ્યમે પણ સરકાર પર નિશાન સાધ્યું
સ્વામીએ ટ્વિટર પર લખ્યું, 'ભારત સરકારની આ કેવી નૈતિકતા છે કે તે કેટલાય ભૂખ્યા અને તરસ્યા સ્થળાંતર કરનારા મજૂરો પાસેથી તેની મુસાફરીની ફી વસૂલ કરે છે. એર ઇન્ડિયા વિદેશમાં ફસાયેલા ભારતીયોને મફતમાં પરત લાવ્યું. જો રેલવે મજૂરોનું ભાડુ આપવાની ના પાડી રહ્યુ છે તો તેને પીએમ કેર ફંડમાંથી આપવું જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ ટિકિટ ભાડુ ન લેવાની વિનંતી કરી હતી
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્રને વિનંતી કરી છે કે તેઓ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સ્થળાંતર કામદારોને તેમના ઘરના સ્થળે પહોંચડવા ભાડું ન લે. રવિવારે મોડી રાત્રે કેન્દ્રને મોકલવામાં આવેલા એક પત્રમાં ઠાકરેએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ કેન્દ્રોમાં આશરે પાંચ લાખ સ્થળાંતર કામદારોને 40 દિવસ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે જોકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ તેમના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી છે.