ટ્રેનના એસી ક્લાસમાં મળતા ગંદા બેડરોલની ફરિયાદ ભલે રેલવે કાને ધરતું ન હોય, પરંતુ હવે બ્લેન્કેટ (કામળો) ગંદો થશે તો જાતે જ બોલશે કે, ‘હું બહુ ગંદો થઈ ગયો છું!’ 15 દિવસે ધોવામાં નહીં આવે તો બ્લેન્કેટ જાતે જ રેલવેને એલર્ટ મોકલી દેશે. સાંભળવામાં પહેલી નજરે વિચિત્ર લાગતી આ વાત બ્લેન્કેટની ઈલેક્ટ્રોનિક ટેગિંગથી શક્ય બનશે.
ઉત્તર રેલવે લખનઉ મંડલ તેની તમામ ટ્રેનોના અંદાજે 10 હજાર બ્લેન્કેટમાં આગામી 15 સપ્ટેમ્બરથી આ નવી વ્યવસ્થા શરૂ કરી દેશે. લખનઉ મંડલના ડીઆરએમ સંજય ત્રિપાઠીએ જણાવ્યું કે, ઑનલાઈન મૉનિટરિંગથી બ્લેન્કેટ ધોવાઈ છે કે નહીં તે સુનિશ્ચિત કરી શકાશે. હવે બ્લેન્કેટની ચોરી કે તેની ગંદકી અંગેની મુસાફરોની ફરિયાદો પણ ઘટી જશે.
યાત્રીઓને રેલવે જે બેડરોલ આપે છે તેમાં તકિયાના કવર, ચાદર અને ટૉવેલ એક વખત ઉપયોગમાં લીધા બાદ ધોવાનો નિયમ છે. જોકે બ્લેન્કેટને 15 દિવસે ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક હકીકત એ પણ છે કે, રેલવે દ્વારા આપવામાં આવતા બ્લેન્કેટ બેથી અઢી મહિના બાદ જ ધોવામાં આવે છે. આ કારણે જ બેડરોલમાં તીવ્ર ગંધ મારતા બ્લેન્કેટની ફરિયાદ સૌથી વધુ મળે છે.
મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદોમાં ગંદા અને વાસ મારતાં બ્લેન્કેટની ફરિયાદ સતત વધતા આખરે રેલવેએ બ્લેન્કેટનું ઑનલાઈન મૉનિટરિંગ કરવાનો નિર્ણય લીધો છે. મોટા શૉપિંગ મૉલની જેમ દરેક બ્લેન્કેટનું ટેગિંગ કરવામાં આવશે. તેમાં એક બાર કૉડ પણ લગાવવામાં આવશે, જેને દરેક વખતે ધોતી વખતે સ્કેનરથી સ્કેન કરીને તેનો ડેટા કમ્પ્યુટરમાં ફીડ કરવામાં આવશે.
દરેક બ્લેન્કેટનો એક અનોખો આઈડી નંબર બનાવવામાં આવશે, જે બ્લેન્કેટના ટેગિંગ વખતે નોંધવામાં આવશે. એક વખત ધોવાઈ ગયા બાદ બ્લેન્કેટને ફરીથી 15 દિવસ બાદ લૉન્ડ્રીમાં લાવવામાં આવશે. જો 15 દિવસ પછી ધોવા માટે બ્લેન્કેટ લાવવામાં નહીં આવે તો 16મા દિવસે કમ્પ્યુટર પર એક અલાર્મ વાગશે, જેમાં આઈડી નંબરથી જાણ થઈ જશે કે ક્યા બ્લેન્કેટને ધોવા માટેનો સમય વીતી ગયો છે. મંડલ પ્રશાસન આઈડી નંબરથી એ ટ્રેનને શોધી કાઢશે, જેમાં એ ગંદો બ્લેન્કેટ હશે.
જો બ્લેન્કેટ 15 દિવસ પહેલા ગંદો થશે તો કોચ એટેન્ડન્ટ તેને અલગ તારવીને લૉન્ડ્રીમાં પરત મોકલી આપશે. ત્યાં તેને ધોવા માટે ફરીથી નોંધવામાં આવશે. રેલવે ખાનગી એજન્સીની મદદથી ઑનલાઈન મૉનિટરિંગનું સૉફ્ટવેર અને પ્રોગ્રામ બનાવશે. તેનું સંચાલન કેરેજ અને વેગન વિભાગના કર્મચારીઓ કરશે.