ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી અવિરત વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે.ત્યારે બે દિવસમાં જ વરસાદમાં રાજ્યમાં 19 મોટા ડેમ છલકાઈ ગયા છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના તમામ ડેમ થયા ઓવરફ્લો
સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર-1, ભાદર -2 અને શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ભાદરવામાં ભારે વરસાદથી પાણીની સમસ્યા ટળી
ગુલાબ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં પાણીની રેલમછેલ
ગુજરાતમાં અવિરત વરસાદથી બે દિવસમાં 19 ડેમ છલકાયા
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદના કારણે રાજકોટનાં આજી-1, આજી-2 અને આજી-3 ત્રણેય ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. આ સિવાય સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો હતો જે બાદ ડેમનાં તમામ 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે જામનગરનો કંકાકવટી, ઊંડ-1 અને ઊંડ-2 ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે રાજૂલાનો ધાતરવાડી ડેમ, ગોંડલનો મોતીસર ડેમ પણ ઓવરફ્લો થયા છે. રાજકોટનો વેણું, જેતપુરનો સુરવા -2 ડેમ પણ ઓવરફ્લો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે લગાવાયુ સિગ્નલ
ગુજરાતમાં હવે શાહીન વાવાઝોડું આવતીકાલ સુધીમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દરિયો પણ તોફાની બની રહ્યો છે ત્યારે પોરબંદરનાં બંદર પર વરસાદની આગાહીના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં માછીમારોને પણ વહેલામાં વહેલી તકે જે તે નજીકના બંદર પર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તથા હવે સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કછના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આવતીકાલે બપોરે એક વાગ્યાની આસપાર નલિયાનાં દરિયામાં આ વાવાઝોડું ઉદ્ભવશે અને દરિયાકિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની સાંભવાના છે.
દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પવન સાથે વરસાદ
વવાઝોડાના કારણે કચ્છના દરિયામાં 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવન અને વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે નુકસાનની પણ ભીતિ છે. કચ્છની સાથે સાથે દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પણ ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડશે. શાહીન વવાઝોડાની અસર સૌરાષ્ટ્રનાં દરિયાકિનારામાં જોવા મળશે જેમા સૌરાષ્ટ્રમાં 40થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. શુક્રવારે બપોરના સમયથી આ ખતરો શરૂ થવાની આગાહીના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.