પતંજલિ યોગપીઠના યોગગુરુ બાબા રામદેવે શનિવારે કહ્યું હતું કે તેઓ ખાતરી આપી શકે છે કે જો દેશભરના તમામ ગુરુકુળમાં દરોડા અથવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે તો ત્યાં કોઈ હથિયાર અને માદક દ્રવ્યો (ડ્રગ્સ) મળી આવશે નહીં.
બાબા રામદેવે એમ પણ કહ્યું કે સામેના પક્ષે પણ લોકોએ બાંહેધરી આપવી જોઈએ કે મસ્જિદો અને મદરેસાઓમાં કંઈપણ ગેરકાયદેસર મળતું નથી. યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિ યોગપીઠ દ્વારા સંચાલિત આચાર્યકુલમ અંગેના આક્ષેપો અંગે આ ટિપ્પણી કરી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર બાબા રામદેવે કહ્યું કે, "મને આશ્ચર્ય થયું છે. હું આ પહેલીવાર સાંભળી રહ્યો છું. તમામ મદરેસાઓ અને મંદિરોમાં તલાશી લેવામાં આવે. વૈદિક શાળાઓ, ગુરુકુલ અને પતંજલિ સંચાલિત આચાર્યકુલમથી લઈને શિશુ મંદિર સુધી દરોડા પાડવામાં આવે. હું ખાતરી આપી શકું છું કે દેશના કોઈ પણ મંદિર અથવા ગુરુકુળમાં હથિયારો કે ડ્રગ્સ મળશે નહીં.
બાબા રામદેવે વધુમાં કહ્યું કે, "સામેના પક્ષના લોકોએ પણ એવી બાંહેધરી આપવી જોઈએ કે મસ્જિદો અને મદરેસાઓમાં કંઈપણ ગેરકાયદેસર થતું નથી." આચાર્યકુલમ વૈદિક અને આધુનિક શિક્ષણ પર આધારિત એક શાળા છે, જે પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા સંચાલિત છે. તે એક આવાસીય શૈક્ષણિક સંસ્થા છે.
અગાઉ બાબા રામદેવે નાગરિકતા સુધારણા કાયદા અંગે ચાલી રહેલા પ્રદર્શન અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે દેશને વિભાજીત કરવાની વાત કરવી, દેશની વિરુદ્ધમાં દેશદ્રોહી કૃત્ય કરવું ખોટું છે. કોઈ પણ જવાબદાર નાગરિક કે પક્ષે આવું ન કરવું જોઈએ.