રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમી મળતા પાડવામાં આવ્યા દરોડા
રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી
LCBની ટીમને સાથે રાખી ફૂડ વિભાગની કાર્યવાહી
ભેળસેળ યુક્ત ઘી વેંચતા હોવાની બાતમીને આધારે દરોડા
તહેવાર આવે એટલે ભેળસેળિયાઓ સક્રિય થઇ જાય. ખિસ્સા ભરવાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખચકાતા નથી. ત્યારે રાજકોટ મનપાના ફૂડ વિભાગે આ તકનો લાભ લઇને ખોરાકમાં ભેળસેળ કરીને લોકોને છેતરનારા સામે લાલ આંખ કરી છે. એલસીબીની ટીમને સાથે રાખીને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ભેળસેળિયુ ઘી વેચનારા વેપારીઓ સામે તવાઇ
રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં દરોડા પાડ્યા. ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમીને આધારે દરોડા પાડ્યા. દિવાબત્તીમાં વપરાશ કરવાના નામે ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ થતુ હતું. ફૂડ વિભાગ દ્વારા ઘીનું સેમ્પલ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ. આ ઉપરાંત કોઠારિયા રોડ પર સંતોષ સ્વીટમાર્ટ તથા બાપુનગર વિસ્તારમાં જય બાલાજી નમકીનમાંથી પણ સેમ્પલ લેવાયા. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.
સેમ્પલ લઇને હાથ ધરી કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને માહિતી મળી હતી કે ઘી ફ્લેવર ઉમેરીને ઘી જેવો દેખાવ અને બંધારણ ધરાવતા ઘીના ડબ્બા વેચવામાં આવે છે. આ બાતમી મળતા જ રાજકોટ સિટીના પોલીસ સ્ટાફ સાથે ન્યુ સોમનાથ ઇન્ડ. એરીયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી.
જ્યાં દિવાબત્તીમાં વપરાશ કરવાના ઓથા હેઠળ ભેળસેળ યુક્ત ઘી તરીકે વેચાણ કરતા હોવાની શંકાના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે.