બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં 30 વધુ લોકો મોત, અનેક પરિવારોના જીવ હજુય તાળવે ચોટયા, રાજ્યમાં પોલીસે દેશ દારૂની હાટડીઓ પર તવાઈ બોલાવી
બોટાદ કથિત લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં દરોડાની કાર્યવાહી
બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં 30 વધુ લોકો મોતને ભેટયા છે. આ સિવાય મિથેનોલ વાળો ઝેરી દારૂ પીવાથી અન્ય 25થી વધુ લોકો હાલ સારવાર જીવન અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ગુજરાતની દારૂબંધીની સમગ્ર દેશમાં મિસાલ દેવામાં આવે પણ વાસ્તવિક હકીકત કઈંક અલગ જ છે. ગુજરાતમાં શહેર હોય કે ગામડા દેશી દારૂના અડ્ડા પોલીસની રહેમનજેર હેઠળ ધમધમી રહ્યા છે. ગુજરાતમાં આ લઠ્ઠાકાંડનો પહેલો બનાવ નથી આ અગાઉ અમદાવાદમાં પણ સૌથી મોટો ઝેરીદારૂકાંડ બન્યો હતો જે અનેકના જીવ લઈને ગયો હતો. પણ તેમાંથી બોધપાઠ લેવાને બદલે દારૂની હાટડીઓ આડકતરી રીતે ચાલુ રાખવા દેવામાં આવી અને પરિણામ બોટાદ લઠ્ઠાકાંડમાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા. કોઈનો વહાલસોયો પુત્ર તો કોઈએ પિતા અને ભાઈ ગુમાવ્યો..
ગુજરાતમાં બેરોકટોક દારૂનો વેપલો
હજુ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. રાજકોટ, સુરત અને અરવલ્લીમાં બેફામ દેશી દારૂ બનાવાઇ પણ રહ્યો છે ધમધોકાર વેચવામાં પણ આવી રહ્યો છે.રાજકોટમાં થોરળા પોલીસ સ્ટેશન પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે, સુરતના પાંડેસરા અને લીંબાયતના વીડિયો સામે આવ્યા છે. અરવલ્લીના ધનસુરામાં પણ બેરોકટોક દારૂની હાટડીઓ ચાલી રહી છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.
અમદાવાદ પોલીસ એક્શનમાં
ત્યારે બોટાદના કેમિકલકાંડ બાદ અમદાવાદ પોલીસ એકશનમાં આવી છે. શહેર PCBની ટીમે કાગડાપીઠના કાન્ટોડિયાવાસમાં દરોડા પાડયા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી દારૂનો નાશ પણ કરવામા આવ્યો છે. અને બુટલેગરોને પણ જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે.
વડોદરામાં પણ કાર્યવાહી
આવી જ રીતે વડોદરા પોલીસ પણ રહી રહી જાગી છે. પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી નાશ કરવાની સૂચના આપી છે. પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દેશી દારૂ વેચતા બૂટલેગરો સામે કેસો કર્યા છે. દાંડિયાબજાર કાકા સાહેબના ટેકરે દેશી દારૂ વેચતા બૂટલેગરોને ત્યાં પોલીસે રેડ કરી છે. મકરપુરા, ભાલીયાપૂરા ગામ, વિશ્વામિત્રી બ્રીજ, જવાહરનગર, ફતેગંજ, નંદેસરીમાં કોતરોમાંદરોડા કરી ઝડપાયેલા તમામ આરોપી વિરુદ્દ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
સુરતમાં સપાટો
તો આ તરફ સુરત પોલીસે પણ તાબડતોબ એક્શન લેવાના શરૂ કર્યા છે. સુરતમાં DCB દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા અને પીનારા પર 12થી વધુ કેસો કર્યા છે. ડિંડોલી વિસ્તારમાંથી 4.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ મિટિંગ બોલાવી કેસો કરવા સૂચના અપાઇ છે.
રાજકોટ પોલીસની રેડ
રાજકોટ પોલીસે દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી રહી છે. ઝોન-1 DCP પ્રવીણ કુમાર મિણાએ કહ્યું કે દારૂબાંધીનો અમલ કરવા પોલીસ પ્રયત્નો કરે છે. આજે સવારે 2 કેસ કરવામાં આવ્યા છે. પોલીસ પર સવાલો ઉઠતાં બચાવમાં તેઓએ કહ્યું કે કુબલિયા પરામાં વારંવાર દરોડા પાડવામાં આવે છે. ગીચ વિસ્તાર હોવાથી આરોપીઓ ભાગી જાય છે. નાલામાં ભઠ્ઠી ચાલુ કરી ઘરમાં લોકો ચાલતા જાય છે. ગીચ વિસ્તાર હોવાથી પોલીસ પહોંચે તે પહેલા આરોપી ભાગી જાય છે. મનપા ડીમોલેશન કરે તો જ આ અટકી શકે. ગેરકાયદેસર મકાનો છે એટલે ભઠ્ઠી ઓ ચાલે છે. ભઠ્ઠીઓમાં આરોપીઓનાં નામ ખૂલે તે માટે પ્રયત્નો કરશુ. નામ સામે આવશે તો તેની સામે 10 વર્ષની સજા માટે પ્રયત્નો કરશુ
દેશી દારૂ ઝેરી કેવી રીતે બન્યો?
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે બનાવવામાં આવતો દારૂ કેવી રીતે ઝેરી બને છે તે સમજવું જરૂરી બને છે. કાચા દારૂને વધુ નશાવાળું બનાવવા માટે તેમાં કેમિકલ ઉમેરવામાં આવે છે. કેમિકલ ઉમેરાતા દારૂ ઝેરી બની જાય છે. દેશી દારૂ ગોળ અને સુરોખારમાંથી તૈયાર કરાય છે. ગોળ સુરોખારના મિશ્રણને માટીમાં દબાવી રાખવામાં આવે છે. દારૂને વધુ નશાકારક બનવવા માટે તેમાં યુરિયા, બેસરમબેલ, ઓક્સિટીન મિક્સ કરવામાં આવે છે. આ ભેળસેળ જ મૃત્યુનું કારણ બને છે.
દારૂમાં જ્યારે મિથેનોલ ભેળવવામાં આવે છે ત્યારે શું અસર થાય છે તે પણ સમજીએ.
દેશી દારૂમાં યુરિયા, ઓક્સિટોસીન ઉમેરાય એટલે મિથેનોલ બને છે. મિથેનોલ વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. મિથેનોલ શરીરમાં મેટોબોલિઝમથઈ ફોર્માલ્ડીહાઇડ બનાવે છે. મિથેનોલ ફોર્માલ્ડીહાઇડ બનાવે એટલો ફોર્મિક એસિડ બની જાય છે. ફોર્મિક એસિડ ઝેર છે જે પહેલા મગજ અને આંખને અસર કરે છે. ધીમે ધીમે અન્ય અંગ કામ કરતા બંધ થઇ જાય છે.