કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ આંદોલનને સમાપ્ત કરવા માટે ખેડુતો અને સરકાર વચ્ચે અનેક તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યા નથી. આજની મીટિંગમાં કંઈક આવું જ બન્યું હતું, જેના પછી વાટાઘાટની આગામી તારીખ નક્કી કરવામાં આવી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરીથી ખેડૂતો મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ખેડૂત આંદોલન મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
મોદી સરકારને લીધી આડેહાથ
ખેડૂતો અને સરકાર વચ્ચેની વાતચીત અનિર્ણિત રહી
એક ટ્વિટમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કટાક્ષપૂર્ણ રીતે લખ્યું કે, 'નીયત સાફ નહીં હે જિનકી, તારીખ પે તારીખ દેના રણનીતિ હૈ ઉનકી' !'મહત્વનું છે કે ખેડૂતોની સાથે જ વિરોધી પક્ષોએ પણ નવા કૃષિ કાયદા અંગે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. વિરોધી પક્ષોએ આક્ષેપ કર્યો છે કે નવા કૃષિ કાયદાની આડમાં સરકાર કૃષિ ક્ષેત્રને કોર્પોરેટને સોંપી દેવા માંગે છે જેનાથી નાના ખેડૂતો પર સંકટ ઊભું થશે.
नीयत साफ़ नहीं है जिनकी,
तारीख़ पे तारीख़ देना स्ट्रैटेजी है उनकी!
મહત્વનું છે કે ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ હતો અને ખેડૂત અગ્રણીઓ તેમજ સરકારની વચ્ચે આજે 9માં રાઉન્ડની વાતચીત યોજાણી હતી, જ પણ નિરર્થક રહી હતી અને આગામી 15 જાન્યુઆરીએ બંને પક્ષો વધુ વાતચીત કરવા માટે સંમત થયા હતા. પરંતુ બેઠકમાં આજે પણ બંને પક્ષોએ અડગ બવળાં અપનાવ્યું હતું, સરકારે કહ્યું હતું કે તેઓ કાયદાને પરત નહીં ખેંચે અને ખેડૂતો તેમની માંગણીમાં બાંધછોડ કરવા માટે રાજી નથી.
ખેડૂતો અન્ય વિકલ્પ આપી શકતા નથી : તોમર
દરમિયાન, બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ખેડૂત નેતાઓ કોઈ વિકલ્પ આપી શકતા નથી. તોમરે કહ્યું, કાયદાઓની ચર્ચા થઈ પરંતુ કોઈ નિર્ણય થઈ શક્યો નહીં. સરકારે વિનંતી કરી છે કે જો ખેડૂત સંઘો કાયદાઓ પરત ખેંચવા સિવાય અન્ય કોઈ વિકલ્પ આપે છે તો અમે તેના પર વિચાર કરીશું. જો કે, ખેડૂત સંઘોએ કોઈ વિકલ્પ આપ્યો ન હતો, તેથી બેઠક સમાપ્ત કરી દેવામાં આવી હતી અને આગામી બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ જ સમયે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે સરકાર બેઠક બેઠક રમીને ખેડૂતોને હેરાન કરવાની ચાલ રમી રહી છે, આમ આ પ્રસંગે આજે મોદી સરકારને આડેહાથ લીધી હતી.