રાહુલ ગાંધીએ અમિત શાહ પર કરેલી વિવાદત ટિપ્પણીનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. શાહ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો દાવો દાખલ થયો છે. જે અંતર્ગત રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર રહી શકે છે.
રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલે અમિત શાહને 'હત્યાના આરોપી' કહ્યા હતા. છેલ્લા એક મહિનામાં કોર્ટમાં રાહુલ ચોથી વખત હાજર થઇ રહ્યા છે. મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ રિઇશ્યું કર્યું છે. કેસમાં દર્શાવેલા સરનામા પર સમન્સ ના પહોંચતા કોર્ટે રિઇશ્યૂ કર્યું છે. જેથી આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
રાહુલે 23 એપ્રિલે રેલીમાં અમિત શાહની વિરુદ્ધ હત્યાના કેસનો હવાલો આપીને પ્રહાર કર્યો હતો. આ કેસમાં શાહ પાંચ વર્ષ પહેલા મુક્ત થઇ ગયા હતા. રાહુલે શાહના પુત્ર જય શાહ પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
રાહુલે રેલીમાં કહ્યું હતું, 'હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ...વાહ! શું તમે જય શાહનું નામ સાંભળ્યું છે? એ જાદુગર છે. એને ત્રણ મહિનામાં 50 હજાર રૂપિયાને 80 કરોડમાં બદલી નાંખ્યા.'
રાહુલ ગત સપ્તાહે એક કેસમાં પટણાની કોર્ટમાં પણ હાજર રહ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા. તેમજ મુંબઈની શિવાડી કોર્ટમાં હાજર રહ્યા હતા. RSSના એક કાર્યકર્તાએ રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો માંડ્યો હતો.