રાહુલ ગાંધી આજે દ્વારકામાં ગુજરાત 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે કોંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓને માર્ગદર્શન આપશે
આજે રાહુલ ગાંધી દ્વારકા આવશે
કોંગ્રેસની ચિંતન શિબિરના બીજા દિવસે આપશે હાજરી
11:30 કલાકે રાહુલ ગાંધી દ્વારકા પહોંચશે
આજે કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધી દ્વારકા આવશે, અને કોંગ્રેસની ચિંતન શિબિરના બીજા દિવસે હાજરી આપશે.રાહુલ ગાંધી 11:30 કલાકે દ્વારકા પહોંચશે અને દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુકાવશે. ત્યારબાદ 12:30 કલાકે ચિંતન શિબિરમાં હાજરી આપશે. જેમાં કોંગ્રેસ કાર્યકરોને 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. દ્વારકાથી સાંજે 4:30 કલાકે તેઓ દિલ્લી જવા રવાના થશે. આ પહેલા 2017માં પણ રાહુલ ગાંધીએ દ્વારકાધીશે શીશ ઝુકાવી પ્રચાર શરુ કર્યો હતો. કમરતોડ મોંઘવારી, અર્થ વ્યવસ્થામાં ભંગાણ તથા બેરોજગારી અંગે વિચાર-વિમર્શ કરશે. કોંગ્રેસ સંગઠન સામેના પડકારો કયાં છે, તેના પર પણ આ બેઠક દરમિયાન મંથન થશે
પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે શું ચર્ચાયું
યુવા અને બેરોજગારી અંગે ચિંતન શિબિરમાં ચર્ચા
સરકારમાં ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી અંગે ચર્ચા
સરકારને ભરતી માટે મજબૂર કરવા કોંગ્રેસ દબાણ લાવશે
સરકારને મજબુર કરવામાં આવે તો 4 લાખ પરિવારો કોંગ્રેસથી જોડાઈ શકે
વિદેશ અભ્યાસ માટે બાળકો શા માટે જઈ રહ્યા છે તે લોકો સુધી લઈ જવું
મેનિફેસ્ટોમાં દરેક જિલ્લામાં લાઈબ્રેરી અને ભરતી માટે ક્લાસની વ્યવસ્થા કરવી
આંદોલન કરવા હોય તો જિલ્લા મથકોએ લીગલ ટીમ તૈયાર કરવા સૂચન
આંદોલનમાં કોઈ પર કેસ થાય તો કાયદાકીય લડત માટે લીગલ ટીમ જરૂરી
આંદોલન કરનાર યુવાને કાયદાકીય રક્ષણ આપવા સૂચન
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં કેટલાય વહેણ જોઈ લીધા છે. ગુજરાત વિધાનસભા 2017 ની ચૂંટણીમાં પ્રતિદ્વંદી ભાજપને માત્ર 99 બેઠકના 'ડબલ ડીજીટ'માં સમેટી નાખવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો. કહો કે, સૌરાષ્ટ્રમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા. ભાજપના વિજયોત્સવમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને 'સુપડા સાફ' થયા હોવા અંગે પ્રશ્ન પૂછતા તેઓ પણ દિગ્મૂઢ થઇ ગયા હતા. આ વખતે સૌરાષ્ટ્રમાં બેઠકો નાં જીતી શકવાનો રંજ તેઓના ચહેરા પર સ્પષ્ઠ કળાતો હતો. રાજ્ય સભા ચૂંટણી વખતે શંકર સિંહ પહેલા કેટલાક સીટીંગ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરીથી કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા. માર્ચ -2020માં 3 ધારાસભ્યો અને ત્યાર બાદ વધુ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાતા ઓક્ટોબરમાં 8 બેઠકો પર વિધાનસભા ચૂટણીઓ આવી. જેમાં તમામ પાટલી બદલું જીતી ગયા હતા. એક માત્ર લીબડી બેઠક પરનાં ઉમેદવાર કિરીટસિંહ જીતુભા રાણા જુના ભાજપાઈ છે તેઓને ટીકીટ અપાતા તેઓ જીતી ગયા હતા. જે હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે.
'કોંગ્રેસ તારા વળતા પાણી'- 1990 પછી ક્રમશ;
1990 પછી ગુજરાતમાં કોન્ગ્રેસના વળતા પાણી એવા શરુ થયા કે તળિયું ધીમે-ધીમે દેખાવા લાગ્યું. માધવસિંહ, અમર સિંહ, ઝીણાભાઈ દરજી, અને પાછળથી ચીમનભાઈ પટેલ (જનતાદળ -ગુજરાત )નાં સમયથી જ એક બીજાને હરાવવા-હંફાવવાની રમત શરુ થઇ. આટલું ઓછું હોય તેમ શંકરસિંહ ની એન્ટ્રી 1996 -1997 માં થઇ. ભાજપમાં 'ગજ'નહિ વાગવાની ગંધ આવતા જ 'બાપુ' સક્રિય થયા. રાજપા બની,મુખ્યમંત્રી બન્યા. એ ત્રણ ચાર વર્ષમાં તો સુરેશ મહેતા, દિલીપ પરીખ, કેશુભાઈ અને બાદમાં નરેન્દ્ર મોદી રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા હતા.
શા માટે રાજા રણછોડની ભૂમિ દ્વારિકા ?
વાત કોંગ્રેસની પડતી અને રાહુલના દ્વારકા આગમનની છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો સિવાય કોંગ્રેસનું કોઈ હાલ પુરતું પ્રભુત્વ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી,કે મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ભારે રકાસ થયો છે. સુરત-રાજકોટ જેવા મહાનગરમાં મહાપાલિકામાં રીતસર 'નામું' નખાઇ ગયું. હવે બધો દારોમદાર નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર છે. દ્વારકામાં શિબિરનું મોટું કારણ, દ્વારકા ગુજરાતની આશ્થાનું કેન્દ્ર છે અને સમુદ્રી તટનાં એટલે જાફરાબાદ, અમરેલી, રાજુલા કોડીનાર,વેરાવળ,માંગરોળ,જુનાગઢ , કેશોદ જામનગર જેવા પંથકથી નજીક પણ છે એટલે ઉત્તર ગુજરાત તો ઠાકોર સંભાળી લેશે. પણ સૌરાષ્ટ્ર સરકે તો બધું સરકી જાય તેવો ઘાટ હોવાથી શિબિર દ્વારકામાં અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિ કોંગ્રેસ માટે કેટલી કારગર નીવડે છે તે આવનાર સમયમાં ખબર પડશે.