વધુ એક હાઈપ્રોફાઈલ બેઠક એટલે ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક. કોંગ્રેસનો ગઢ કહેવાતી આ બેઠક છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે. ગત ચૂંટણીમાં ભાજપના સ્મૃતિ ઈરાની અહીંથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ હારી ગયા હતા, પરંતુ તેમના આંટાફેરા અમેઠીમાં ક્યારેય બંધ થયા નથી અને આ વખતે પણ તેઓએ અમેઠીથી ઝંપલાવ્યું છે. જોઈએ આ અહેવાલ.
અમેઠી નહેરુ ગાંધી પરિવારનો એક મજબુત ગઢ છે. વર્ષોથી અહીં ગાંધી પરિવરાનો દબદબો રહ્યો છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. દેશમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. સમગ્ર દેશમાં કોંગ્રેસ 2 અંકમાં સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસના ફાળે દેશમાં માત્ર 44 બેઠક આવી હતી. તેમાં એક અમેઠી પણ હતી. તેના પરથી જ સમજી શકાય છે કે, અમેઠી કોંગ્રેસનો કેવો ગઢ હશે. અમેઢી પર રાહુલ ગાંધી જ્યારે લોકસભા ચૂંટણી લડે છે ત્યારથી ક્યારેય હાર્યા નથી. રાહુલ ગાંધી સામે અનેક પ્રકારના પડકારો આવ્યા છે. વિકાસના કામોને લઇ અનેક પ્રશ્નો ઉભા થતા રહ્યા છે, પરંતુ રાહુલને કોઈ ટક્કર આપી શક્યું નથી. અમેઢી કોંગ્રેસનો કેટલો મજબૂત ગઢ છે તેની સાબિતી એ વાત પરથી મળી જાય છે કે, 1967 બાદ માત્ર બે જ વખત બિન કોંગ્રેસ પાર્ટી અહીંથી જીતી છે. જેમાં એક વખત ભાજપ અને એક વખત જનતા પાર્ટીનો સમાવેશ થાય છે.
ગત લોકસભા ચૂંટણીની માફક આ વખતે પણ કોંગ્રેસના રાહુલ ગાંધી અને ભાજપના સ્મૃતિ ઈરાની વચ્ચે જંગ જામવાનો છે. વર્ષ 2014માં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અહીંથી ભલે હારી ગયા હતા પરંતુ સ્મૃતિ અમેઠીમાં સતત સક્રીય રહ્યા છે. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીને 4 લાખ 8 હજાર 651 મત મળ્યા હતા. જ્યારે ભાજપના સ્મૃતિ ઈરાનીને 3 લાખ 748 મત મળ્યા હતા. સ્મૃતિ ભલે 1 લાખ 7 હજાર 903 મતથી હારી ગયા પરંતુ 3 લાખ જેટલા મત મેળવવામાં સ્મૃતિ ઈરાની સફળ થયા હતા. 3 લાખ જેટલા મત કોંગ્રેસના ગઢમાં મેળવવા એ કંઈ નાની વાત નથી. 2019માં પણ સ્મૃતિ અને રાહુલ વચ્ચેનો જંગ ચોક્કસ રસાકસી ભર્યો રહેશે તેમાં કોઈ બેમત નથી. જીત ભલે ગમે તેની થાય પરંતુ જે જીતશે તે માટા માર્જિનથી નહીં જીતી શકે.
અમેઠી બેઠક ગાંધી પરિવારનો પરંપરાગત ગઢ રહી છે. આ બેઠક પર અનેક મોટા નેતાઓ આવ્યા છે. જેમાં રાજીવ ગાંધી 1981થી 1991 સુધી આ બેઠક પર ચૂંટાતા હતા. રાજીવ ગાંધી બાદ 1991થી 1998 સુધી કોંગ્રેસના જ સતીષ શર્મા સાંસદ બન્યા હતા. સતીષ શર્મા બાદ ભાજપને અહીં મોટી સફળતા મળી હતી. 1998થી 1999 વચ્ચે ભાજપના ડૉક્ટર સંજય સિંહ ચૂંટાયા હતા, પરંતુ ત્યારબાદ સોનિયા ગાંધી 1999માં અહીંથી ચૂંટાયા હતા અને 1999થી 2004 સુધી સાંસદ રહ્યા હતા. 2004 બાદ સોનિયાએ આ બેઠક છોડી દીધી અને રાહુલ ગાંધી અમેઠીથી લડવા આવ્યા. રાહુલ 2004માં વિજેતા બન્યા અને ત્યારબાદ તો આજદીન સુધી તેઓ અમેઠીથી ચૂંટાતા આવે છે. રાહુલ ગાંધી અમેઠીથી ત્રણ વખત ચૂંટાયા છે.
અમેઠી લોકસભા બેઠકમાં મોટા ભાગની વસ્તી મધ્યમ અને ગરબી છે. મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો આ બેઠક પર બાઇપાસ નિર્માણ, આવારા પશુની સમસ્યા, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યને લઇને કેટલાક મુદ્દાઓ છે. 2014માં સંસદ તરીકે ચૂંટાયા બાદ રાહુલ ઘણી વખત મતવિસ્તારમાં આવ્યા છે. જો રાહુલના કામની વાત કરવામાં આવે તો રાહુલે કેટલીક સ્કુલોમાં મિનરલ વોટરની વ્યવસ્થા કરાવી છે. મંદિરો અને મજારોમાં લાઇટની વ્યવસ્થા પણ રાહુલે કરાવી છે. મલિક મોહમ્મજ જાયસી શોધ સંસ્થા માટે જંગી નાણાં પણ આપ્યા છે. સાથે સાથે આશરે 400 હેન્ડપંપ પણ લગાવી આપ્યા છે.
અમેઠી લોકસભામાં 4 વિધાનસભા બેઠકો આવે છે. જેમાં અમેઠી સદર, ગૌરીગંજ, જગદીશપુર અને તિલોઇનો સમાવેશ થાય છે. આ ચાર વિધાનસભા બેઠકોમાંથી ત્રણ ભાજપની પાસે છે જ્યારે એક સમાજવાદી પાર્ટી પાસે છે. અમેઠીમાં રાહુલને 2014ની ચૂંટણીમાં 46.71 ટકા મત મળ્યા હતા. જ્યારે સ્મૃતિ ઈરાનીને 34.38 ટકા મત મળ્યા હતા. તો આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસને માત્ર 2.92 ટકા મત મળ્યા હતા. તો રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીનો મતવિસ્તાર રાયબરેલી છે અને રાયબરેલી જિલ્લાના કેટલીક વિસ્તારોના મતદારો લોકસભામાં અમેઠી માટે મતદાન કરે છે. રાયબરેલીના સલોન, હલિયા વિસ્તારના લોકો પણ અમેઠીમાં મત આપે છે.
અમેઠી બેઠક મુળભુત રીતે કોંગ્રેસના ગઢ રહી છે, પરંતુ સ્મૃતિ છેલ્લા કેટલાક સમયથી રાહુલ સામે સમસ્યા ઉભી કરતા રહ્યા છે. તેમના આક્રમક વલણને જાતા રાહુલ માટે આ વખતે વધારે મહેનતની જરૂર દેખાઇ રહી છે. રાહુલ ગાંધી આગામી દિવસોમાં અહીં જારદાર પ્રચાર કરે તેવી શક્યતા પણ છે. પ્રધાનમંત્રી મોદી પણ સ્મૃતિ ઈરાની માટે પ્રચાર કરવા પહોંચી શકે છે. હોટ ગણાતી બેઠક પર ફરી એકવાર તમામ લોકોની નજર છે. ત્યારે 2019માં પુનરાવર્તન થાય છે કે પછી કોઈ ચોંકવનારુ પરિણામ આવે છે તે જોવું રહ્યું.