કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર હુમલા મામલે સંઘ પર નિશાન સાધ્યું છે.
સંઘ હુમલા કરવાનું શીખવાડે છે : રાહુલ ગાંધી
સત્યાગ્રહથી ખેડૂતો નીડર બને છે : રાહુલ ગાંધી
દેશ વિરોધી કાયદા પરત કરાવીને જ રહીશું : રાહુલ ગાંધી
ટ્વિટ કરીને સંઘ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી કેન્દ્ર સરકાર પર કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન મુદ્દે હુમલો કર્યો છે. તેમણે શનિવારે ખેડૂતોના મુદ્દે સંઘ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે બધા સાથે મળીને સંઘનો સામનો કરીશું અને ત્રણ કૃષિ કાયદા પરત કરાવીને જ જપીશું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમનો સંઘ હુમલા કરવાનું શીખવાડે છે. અહિંસક સત્યાગ્રહ ખેડૂતોને નીડર બનાવે છે. સંઘનો સામનો સાથે મળીને જ કરીશું. ત્રણ કૃષિ કાયદા, દેશ વિરોધી કાયદા પરત કરાવીને જ શ્વાસ લઈશું.
उनका संघ हमला करना सिखाता है,
अहिंसक सत्याग्रह किसान को निडर बनाता है।
संघ का सामना संग मिलकर करेंगे- तीनों कृषि व देश विरोधी क़ानून वापस कराके ही दम लेंगे!#FarmersProtest
નોંધનીય છે કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે રાજસ્થાનના અલવરમાં અસામાજિક દ્વારા પથ્થર ફેંકીને હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈના ઇજાગ્રસ્ત થવાના સમાચાર ન હતા, ટિકૈતની ગાડીના પાછળનો કાચ તૂટી ગયો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મુદ્દે કહ્યું હતું કે દોષિયો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચાર મહિનાથી ચાલી રહ્યું છે આંદોલન
છેલ્લા ચાર મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો દ્વારા દિલ્હી અને આસપાસની સરહદો પર ધરણાં કરીને આંદોલન કરવામાં આવી રહ્યા છે. આંદોલનમાં ખેડૂતોએ ભારત બંધથી લઈને ઘણા બધા રસ્તા અપનાવીને સરકારનો વિરોધ કર્યો હતો. જોકે આ મુદ્દે કોઈ સમાધાન નીકળ્યું નથી. ખેડૂતો નેતાઑ હવે જુદા જુદા રાજ્યોમાં જઈને ભાજપને વોટ ન આપવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી વારંવાર કાયદાને રદ કરવા માટે રટણ કરે છે.