ગુજરાતમાં કોરોનાના કહેરને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને નિશાન બનાવીને ટ્વિટ કર્યું છે. કોંગ્રેસ શાસિત રાજ્યોની સાથે ગુજરાતના મૃત્યુદરના આંકડા ટ્વીટમાં આપવામાં આવ્યા છે. તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં કોરોનાનો મૃત્યુદર ગુજરાત કરતાં પણ ઓછો છે.
કોરોનાથી મૃત્યુદરને લઇ રાહુલનું ટ્વીટ
કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે ગુજરાતના મૃત્યુદરના આંકડાની સરખામણી
મોદી સરકાર પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કોરોનાના મૃત્યુદરના આંક દર્શાવ્યા છે. તેઓએ અહીં ગુજરાતની સરખામણી કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે કરી છે. જેમાં તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર 6.25 ટકા છે. મહારાષ્ટ્રમાં 3.73 ટકા, રાજસ્થાનમાં 2.32 ટકા મૃત્યુ દર છે. તો પંજાબમાં 2.17 ટકા, પુડુચેરીમાં 1.98 ટકા, ઝારખંડમાં 0.5 ટકા, છત્તીસગઢમાં 0.35 ટકા મૃત્યુ દર જોવા મળી રહ્યો છે.
આ પહેલાં પણ ગઈકાલે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કોરોનાના કારણે થતાં મોત અને અર્થવ્યવસ્થાને લઈને એક ગ્રાફ ટ્વિટ કર્યો હતો. તેની સાથે તેઓએ અલબર્ટ આઈન્સ્ટાઈનનો એક ક્વોટ પણ લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે ફક્ત એક ચીજ છે જે અજ્ઞાનતાથી પણ વધારે ખતરનાક હોય છે, જે ઘમંડ છે.