કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે મધ્યપ્રદેશના પ્રવાસે છે. રાહુલ ગાંધી બે દિવસમાં 6 જેટલી જનસભાઓ ગજવશે. મધ્યપ્રદેશના દતિયામાં રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ ફરી લોચો માર્યો હતો. રાહુલે મોદી સરકારને ફરી એક વખત આડા હાથે લીધી હતી.
મોદી સરકારને આડેહાથ લેતા રાહુલ ગાંધીથી મોટો લોચો થયો હતો. તેમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીરવ મોદી ભારત છોડીને ભાગી જતા પહેલા નાણા મંત્રી અરુણ જેટલીને સંસદના સેન્ટ્રલ હોલમાં મળ્યો હતો અને કહ્યુ હતુ કે હું દેશ છોડીને જઈ રહ્યો છું.
ખુદ અરુણ જેટલીએ સ્વીકાર્યુ હતુ કે નીરવ મોદી મને મળી ગયો છે. સવાલ એ ઉભો થાય છેકે જો નીરવ મોદી જઈ રહ્યો હતો તો તેની જેટલીએ ધરપકડ કેમ ના કરાવી. જોકે રાહુલે વિજય માલ્યાની જગ્યાએ નીરવ મોદીનુ નામ આપ્યુ હતુ.
હકીકતમાં આ મામલો માલ્યા સાથે જોડાયેલો છે.કોંગ્રેસે જ આક્ષેપ કર્યો હતો કે વિજય માલ્યા દેશ છોડીને જતા પહેલા જેટલીને મળ્યો હતો. રાહુલે વધુમાં કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારે દેશના 15થી 20 ઉદ્યોગપતિઓનુ 3.50 લાખ કરોડનુ દેવુ માફ કરી દીધુ છે પણ ખેડૂતોનુ દેવુ માફ કરવા માટે તૈયાર નથી.