બારડોલીમાં વનમંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. ગણપત વસાવાએ જણાવ્યુ કે, રાહુલ ગાંધીને શિવ ભગવાન સાથે સરખાવવામાં આવે છે. શિવ ભગવાન તો લોકોના દુ:ખ દુર કરવા માટે ઝેર પીતા હતા. શિવ ભગવાનની જેમ રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો. આ ઝેર પીધા બાદ રાહુલ ગાંધી જીવશે તો રાહુલગાંધીને શિવ માની લઈશું.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વનમંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે, જો રાહુલ ભગવાન શંકર છે તો તેમને 500 ગ્રામ ઝેર પીવડાવો. જો તે સાચા શિવ ભક્ત છે તો ઝેર પીવડાવ્યા બાદ ચૂંટણી સુધી જીવી લે તો અમે માનીશું કે તેઓ સાચા શિવ ભક્ત છે.
ગણપત વસાવાએ કહ્યું,“ સોશિયલ મીડિયામાં જોયું હતું કે, કોંગ્રેસના ખૂબ મોટા નેતાએ કહ્યું કે રાહુલ ગાંધી એ તો સાક્ષાત શિવજીનો અવતાર છે, આપમા યુવાનો ખૂબ જ હોશિયાર છે, આપણા યુવાનોએ કહ્યું કે તમે જ્યારે આપણા લશ્કરે પાકિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તમે પુરાવા માંગતા હતા. જો તમારા નેતા શિવજીનો અવતાર હોય તો શિવજી તો લોકોને બચાવવા ઝેર પી ગયા હતા જો તમારા નેતા પણ શિવજી હોય તો તેમને પણ શિવજીની જેમ ઝેર પીવડાવો. તમારા નેતા રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો જો સામી ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.”
ઉલ્લેખનીય છે કે આ નિવેદન વનમંત્રી ગણપત વસાવાએ બારડોલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપ્યું હતું. બારડોલીમાં યોજાયેલા સમારંભમાં સોશિયલ મીડિયામાં લોકો રાહુલ ગાંધી વિશે લોકોએ કરેલા નિવેદનોને ગણપત વસાવાએ વાંચી સભળાવ્યા હતા. સોશિયલ મીડિયાના હવાલેથી ગણપત વસાવાએ રાહુલ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.