ગુજરાતની ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો પોતાપોતાની રીતે એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે રાહુલ ગાંધી ખુદ ગુજરાત આવી રહ્યાં છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે
રિવરફ્રન્ટ ખાતે બુથ સ્તરના નેતાઓને સંબોધન કરશે
રાહુલ ગાંધી બપોરે ગાંધી આશ્રમની મુલાકાત લેશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ મહિનાઓ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઇ છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. સવારના 11 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ અમદાવાદ એનેક્ષી જશે. ત્યાંથી રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં જશે.
રાહુલ ગાંધી બપોરે ગાંધી આશ્રમની મુલાકાત લેશે
તમને જણાવી દઇએ કે, અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ખાસ ઉપસ્થિતિમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બુથ સ્તરના નેતાઓને સંબોધન કરશે. પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને રાહુલ ગાંધી સંબોધશે. આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહેશે. ત્યાર બાદ રાહુલ ગાંધી બપોરે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને રાહુલ ગાંધી પુષ્પાંજલિ અર્પણ કરશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહેશે
બાદમાં તેઓ ત્યાંથી સીધા દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધી સાથે દિગ્ગજ નેતાઓમાં અશોક ગેહલોત, રઘુ શર્મા અને જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે. વધુમાં જણાવી દઇએ કે, આજે ગુજરાત કોંગ્રેસની પહેલા સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસ કાર્યલય ખાતે મોડી સાંજે છ કલાકે ઉમેદવાર પસંદગી પક્રિયાની કામગીરી શરૂ થશે.
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના પ્રવાસથી બુથના કાર્યક્રમોમાં અનેરા ઉત્સાહનો સંચાર થશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પરિવર્તનના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરશે. તો જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કોંગ્રેસ 125 બેઠકના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરી છે. કોંગ્રેસ આ વખતે મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈ મેદાનમાં ઉતરશે.