કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એક ટ્વિટ કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ આ આભાર 12 એપ્રિલે પોતાના દ્વારા કરવામાં આવેલા એ ટ્વિટના જવાબમાં વ્યક્ત કર્યો છે જેમા તેઓએ ભારત સરકારને અપીલ કરી હતી કે તે વિદેશી કંપનીઓને કોઇ ભારતીય કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાની મંજૂરી ન આપે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે એક ટ્વિટ કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો
રાહુલ ગાંધીએ કોરોના સંકટમાં વિદેશી કંપની ભારતીય કંપનીનું અધિગ્રહણ ન કરે તે માટે કરી હતી અપીલ
રાહુલ ગાંધીએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું, 'હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મારી વાતને ધ્યાને લેતા એફડીઆઇ (FDI) નિયમોમાં બદલાવ કર્યો અને કેટલાક નિશ્ચિત મામલાઓમાં સરકારની મંજૂરી લેવાનું અનિવાર્ય કર્યું.'
નોંધનીય છે કે 12 એપ્રિલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આર્થિક મંદીએ ઘણી ભારતીય કંપનીઓને કમજોર બનાવી દીધી છે. તેઓએ સરકારને રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં કોઇ વિદેશી કંપની દ્વારા દેશની કોઇ કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં ન લઇ શકે એ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.
I thank the Govt. for taking note of my warning and amending the FDI norms to make it mandatory for Govt. approval in some specific cases. https://t.co/ztehExZXNc
12 એપ્રિલે કરવામાં આવેલા પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધી લખ્યું હતું, 'ભીષણ આર્થિક મંદીએ ઘણા ભારતીય કૉર્પોરેટને કમજોર કરી દીધી છે. તેમને અધિગ્રહણ માટે સરળ નિશાન બનાવી દેવાઇ છે. સરકારે રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં વિદેશી કંપનીઓને કોઇ ભારતીય કંપનીનું નિયંત્રણ પોતાના હાથોમાં લેવાની મંજૂરી ન આપવી જોઇએ.' રાહુલ ગાંધીએ મીડિયામાં આવેલા એ સમાચારો પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમા કહેવામાં આવ્યું હતું કે વિદેશી સંસ્થાઓએ શૅર બજારના તુટી પડવાને ધ્યાને લેતા ભારતીય કંપનીઓમાં પોતાની ભાગીદારી ખરીદી છે.
આ થયો છે બદલાવ
ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઇઆઇટી)એ શનિવારે જણાવ્યું કે ભારતના પાડોશી દેશોની કોઇ કંપની અથવા વ્યક્તિ ભારતના કોઇપણ ક્ષેત્રમાં હવે સરકારની મંજૂરી મળ્યા બાદ જ રોકાણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી ચીન જેવા દેશોથી આવનાર વિદેશી રોકાણ પર પ્રભાવ પડી શકે છે. સરકારે કોરોના વાયરસ મહામારીને લઇને ઘરેલૂ કંપનીઓને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવતા વધુ સારા તક જોઇને ખરીદવાની કોશિશોને રોકવા માટે આ પગલુ ઉઠાવ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના રોકાણકારો પર આ શરતો લાગૂ છે.