ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
- કોરોના વાયરસના વધતાં કેસના કારણે રાહુલ ગાંધીએ લીધો નિર્ણય
- પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પોતાની આગામી બધી રેલીઓ કરી રદ્દ
- અન્ય રાજનેતાઓને રેલીઓ ન કરવા અપીલ
એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ પાર્ટીઓની લીલાલહેર
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એક તરફ હોસ્પિટલો ફૂલ છે તથા સ્મશાનોમાં જગ્યા નથી બીજી તરફ બંગાળમાં રાજકીય પાર્ટીઓની રેલીઓમાં ભયંકર ભીડ ભેગી થઈ રહી છે. દેશભરમાંથી આ રેલીઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટો નિર્ણય લીધો છે.
રાહુલ ગાંધીનો મોટો નિર્ણય
દેશભરમાં સોશ્યલ મીડિયામાં લોકો આ રેલીઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની આગામી બધી જ રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં, હું બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરું છું. બધી જ રાજકીય પાર્ટીઓના નેતાઑને પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં અપીલ કરું છું કે મોટી જાહેરસભાઑ ન કરે.
મમતા બેનર્જીએ ભાજપ પર ફોડ્યું ઠીકરું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમારી માંગ છે કે હવે બાકીના બધા જ ચરણના મતદાન એક સાથે થઈ જાય પરંતુ ભાજપ એવું કરવા નથી માંગતી.
કોરોના વાયરસ કેસ અપડેટ (18 એપ્રિલ, 2021)
ભારતમાં આજે કોરોના વાયરસના નવા 2,61,500 કેસ સામે આવ્યા છે જ્યારે 1,501 લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ એક દિવસમાં 1,38,423 લોકો સાજા પણ થયા છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 18 લાખને પાર થઈ ગયો છે.