પ્રધાનમંત્રીએ જે કરવું હોય તે કરી શકે છે: રાહુલ ગાંધી
નેશનલ હેરાલ્ડ કેસ અને 'હર ઘર તિરંગા' અભિયાનને લઇને રાહુલ ગાંધીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ કેસ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે PM મોદીથી ડરતા નથી. પ્રધાનમંત્રીએ જે કરવું હોય તે કરી શકે છે. PM અમારા ઉપર દબાણ લાવવા માંગે છે. અમને કંઇ જ ફર્ક નથી પડતો, અમારું કામ છે લોકતંત્રને બચાવવાનું, દેશની રક્ષા કરવાનું. દેશનો જે માહોલ છે તે બનાવી રાખવો, તે હું કરતો રહીશ. તેઓ કંઇ પણ કરી લે હું આ કરતો રહીશ.
તેઓ જે કરી રહ્યાં છે તે લોકતંત્રની વિરૂદ્ધ: રાહુલ ગાંધી
વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'તેઓ જે કરી રહ્યાં છે તે લોકતંત્રની વિરૂદ્ધ છે. તેઓની વિરૂદ્ધ અમે ઊભા રહીશું, ભલે કંઇ પણ કરી લે. અમને કોઇ જ ફર્ક નહીં પડે.' રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'અમે ભાગવાની વાત નથી કરતા, ભાગવાની વાત તો એ લોકો કરી રહ્યાં છે. સચ્ચાઇને બેરિકેડ ના કરી શકાય. તેઓએ જે કરવું હોય તે કરે, અમે પ્રદર્શન કરીશું.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 4, 2022
કોંગ્રેસના મોટા નેતાઓ નિર્દોષ છે તો કોંગ્રેસ ડરે છે કેમ?: સંબિત પાત્રા
રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બનેલા નેશનલ હેરાલ્ડ કેસમાં ગઈકાલે યંગ ઈન્ડિયાની ઓફિસ સિલ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ મુદ્દે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, 'જો નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના મોટા નેતાઓ નિર્દોષ છે તો કોંગ્રેસ ડરે છે કેમ?... ED જે કાર્યવાહી કરી રહી છે, તેના વિરોધમાં કોંગ્રેસ પહેલા સત્યાગ્રહ કરવા માંગતી હતી અને હવે રણ એટલે કે યુદ્ધની વાત કરે છે, પરંતુ જનતા કોંગ્રેસને આ મુદ્દેથી ભાગવા નહીં દે. એટલે કોંગ્રેસે તેની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. જેના જવાબમાં રાહુલ ગાંધીએ આજે આ મહત્વનું નિવેદન આપ્યું હતું.
ઈતિહાસ સાક્ષી છે કે 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારા છે દેશ વિરોધી: રાહુલ ગાંધી
આ સિવાય 'હર ઘર તિરંગા' અભિયાનને લઇને રાહુલ ગાંધીએ નામ લીધા વિના RSSના નામે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 'ઈતિહાસ સાક્ષી છે કે 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારા દેશ વિરોધી છે. જે દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે તે તિરંગા પર અભિયાન ચલાવે છે. 52 વર્ષમાં ક્યારેય તેમણે તિરંગો નથી ફરકાવ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામથી આ લોકો કોંગ્રેસને નથી રોકી શક્યા. આગળ પણ નહીં રોકી શકે.'