કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ કાશ્મીરનાં પ્રવાસ પર છે ત્યારે જમ્મૂમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન રાહુલે માતાજીની શક્તિને લઈને મોટું નિવેદન આપ્યું છે, જેને લઈને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે.
કાશ્મીરમાં રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન
મોદી સરકારનાં કારણે દુર્ગા અને લક્ષ્મી માતાજીની શક્તિ ઓછી થઈ રહી છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ હાથનાં સિમ્બોલનો અર્થ સમજાવ્યો
કાશ્મીરનાં કલ્ચરને સમાપ્ત કરવામાં આવી રહ્યું છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને RSS કાશ્મીરની સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. લોકોની વચ્ચેના પ્રેમ અને ભાઇચારાને સમાપ્ત કરવામાં આવી રહ્યા છે. આ તમને લોકોને કમજોર કરી દેશે. તેમે પોતે જોઈ શકો છો કે કેન્દ્ર શાસિત પ્રદેશની અર્થવ્યવસ્થા, ટૂરિઝમ અને બિઝનેસનાં કેટલા ખરાબ હાલ છે.
માતાજીની શક્તિ ઓછી થઈ ગઈ છે, ભાજપનાં કારણે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે દેવી દુર્ગા રક્ષા કરનારી શક્તિનાં પ્રતિક છે, દેવી લક્ષ્મી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની શક્તિનાં પ્રતિક છે જ્યારે દેવી સરસ્વતી જ્ઞાનની શક્તિ છે પરંતુ ભાજપની આગેવાનીમાં કેન્દ્ર સરકારની નીતિઓ, નોટબંધી અને GSTએ દેશમાં દેવી લક્ષ્મીની શક્તિઓ ઓછી કરી દીધી છે. તેમણે દાવો કરતાં કહ્યું કે નવા કૃષિ કાયદાનાં કારણે દેવી દુર્ગાની શક્તિ ઓછી કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને RSS જ્યારે શૈક્ષણિક સંસ્થાનોમાં પોતાના માણસો મૂકે છે ત્યારે સરસ્વતીની શક્તિ ઓછી થાય છે.
હું પોતે કાશ્મીરી પંડિત છું : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મૂ અને કાશ્મીરનાં પ્રવાસ પર છે ત્યારે તેમણે વૈષ્ણોદેવી માતાજીનાં દર્શન કર્યા બાદ મોટી સભા સંબોધી જેમાં મોટા નિવેદનો કર્યા છે. જમ્મૂમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો પરિવાર કાશ્મીરી પંડિત છે. હું જ્યારે પણ જમ્મૂ કાશ્મીરમાં આવું છું ત્યારે એવું લાગે છે કે મારા ઘરે જ આવ્યો છું. ગુરુવારે રાહુલ ગાંધીએ કટરામાં વૈષ્ણોદેવી માતાનાં દર્શન કર્યા અને રાત ત્યાં જ વિતાવી હતી. આજે જમ્મૂમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ આશ્વાસન પણ આપ્યું કે તેઓ કાશ્મીરી પંડિતોની મદદ કરશે.
હું ખોટું નથી બોલતો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે હું મા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા માટે ગયો ત્યારે એવું લાગ્યું કે હું તો મારા ઘરે જ આવ્યો છું. મારો પરિવાર પણ કાશ્મીરી પંડિત છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે હું જે પણ બોલું છું તે ક્યારેય ખોટું બોલતો નથી. જેટલા પણ કાશ્મીરી પંડિત ભાઈઓ છે હું તમારા બધાની મદદ કરીશ. સભામાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ સત્યથી ડરે છે. તેમણે કોંગ્રેસનાં હાથ વિશે કહ્યું કે લોકો કહે છે કે હાથનો સિમ્બોલ એટલે આશીર્વાદ હોય છે. ના, હાથ સિમ્બોલનો મતલબ આશીર્વાદ નથી હોતો. હાથ સિમ્બોલનો મતલબ ડરો નહીં તેવો થાય છે, સત્ય બોલવાથી ન ડરો એ છે કોંગ્રેસ પાર્ટીનો સિમ્બોલ.