રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાહુલ ગાંધીએ હવે સચિન પાયલોટને સંદેશ પાઠવ્યો છે. રાહુલ તરફથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે સચિન પાયલોટ હજુ પણ પાર્ટીના સભ્ય છે અને પાર્ટીના દરવાજા હંમેશા તેમના માટે ખુલ્લા છે. તેમ જ CM અશોક ગેહલોતને પણ જાહેર નિવેદન ન આપવા માટે કહેવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી હાઈકમાન્ડ પણ સચિન પાયલોટ પર વ્યક્તિગત હુમલો કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ છે. સચિન પાયલોટને મોકલવામાં આવેલી નોટિસ માટે પાર્ટી હાઇકમાન્ડ દ્વારા અશોક ગેહલોતને ઠપકો આપવામાં આવ્યો છે.
ગેહલોતે પાયલોટ પર ધારાસભ્યોની ખરીદી વેચાણનો આરોપ લગાવ્યો
નોંધનીય છે કે ગેહલોતે સચિન પાયલોટ પર સીધા ધારાસભ્યોની ખરીદી વેચાણ કરીને સરકારને પાડવાનો આરોપ લગાવ્યો છે. ગેહલોતે તો એટલે સુધી કહી દીધું હતું કે તેની પાસે આના પુરાવા પણ છે. તેમના કહેવા પ્રમાણે સચિન પાયલોટ વતી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પાર્ટી માટે પાંચ વર્ષ સખત મહેનત કરી હતી અને તેમના બદલે ત્યાર બાદ અશોક ગેહલોતે CM પદ સંભાળ્યું હતું.
કોંગ્રેસ સાથે હજી સમાધાનને અવકાશ છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીના સંદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે સચિન પાયલોટ માટે કોંગ્રેસના દરવાજા હજુ બંધ થયા નથી. કોંગ્રેસ સાથે હજી સમાધાનને અવકાશ છે. આ જ કારણ છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાઇલટ ઉપર ગંભીર આક્ષેપો કર્યાના અડધા કલાક પછી જ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલોટને 'ઘરે' પાછા આવવું જોઈએ અને પાર્ટી મંચ પર ખુલ્લી અને સ્પષ્ટ વાત કરવી જોઈએ.
હાઈકમાન્ડે તેમની પ્રત્યે ઉદારતા દાખવી છે: સુરજેવાલા
રણદીપ સુરજેવાલાએ બુધવારે સાંજે પત્રકાર પરિષદમાં એમ પણ કહ્યું હતું કે પાયલોટ એક આશાસ્પદ નેતા છે અને હાઈકમાન્ડે તેમની પ્રત્યે ઉદારતા દાખવી છે. જો કે, રાજસ્થાનમાં સરકારને પાડવા માટે એક કાવતરું રચવામાં આવ્યું છે, જે જનમતનું અપમાન છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે સચિન પાયલોટને બે વખત વિધાનસભા પક્ષની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા, તેથી અમારે સચિન પાયલોટ સામે હૃદયમાં દુઃખ સાથે પણ આવા કઠોર નિર્ણય લેવા પડ્યા.