કોંગ્રેસના મીડિયા પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં જ કરેલી જાહેરાત મુજબ કોંગ્રેસનાં 99.9% સદસ્યોએ રાહુલ ગાંધીને ફરી પક્ષના અધ્યક્ષપદે બેસાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અમુક અટકળો મુજબ રાહુલ ગાંધીએ પોતે જ ફરી અધ્યક્ષ બનવાની અનિચ્છા દર્શાવી છે.
ગત વર્ષે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું હતું રાજીનામું
સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે છેલ્લા 18 મહિનાથી કાર્યરત
જો રાહુલ અધ્યક્ષ નહીં બને તો પાર્ટી પાસે વૈકલ્પિક રસ્તો પણ તૈયાર
ચાર ઉપાધ્યક્ષોની થઈ શકે છે નિમણૂક
છેલ્લા 18 મહિનાથી નથી મળ્યા નવા અધ્યક્ષ
ગત લોકસભા ચૂંટણીઓમાં પરાજય થયા બાદ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ફરી સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષા તરીકે કોંગ્રેસની ધુરા સાંભળી હતી.જે હજુ પણ તેમની નાદુરસ્ત તબિયત વચ્ચે પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યરત છે. છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં કોંગ્રેસના નવા અધ્યક્ષની નિમણૂક થઈ નથી.
23 જેટલા વરિષ્ઠ નેતાઓએ લખી હતી અરજી
દેશમાં ભાજપના વધતાં વર્ચસ્વ સામે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે કોંગ્રેસના 23 જેટલા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ આ વર્ષના ઓગષ્ટ મહિનામાં એક લેખિત અરજી દ્વારા કોંગ્રેસની કાર્યશૈલીમાં ફેરફારો કરવાની માંગણી કરી હતી. જેમાં કપિલ સિબ્બલ,શશી થરૂર,આનંદ શર્મા તેમજ ગુલામ નબી આઝાદ જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે.ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત વચ્ચે નવા પક્ષાધ્યક્ષની માંગ ઊભી થઇ છે.
રાહુલ ગાંધીનો ફરી અધ્યક્ષ પદે બેસવાનો નનૈયો
આ જ મહિને પક્ષના વરિષ્ઠ નેતા અને મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ જાહેરાત કરી હતી કે પક્ષના 99.9% સદસ્યોએ રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવવાની તરફેણ કરી હતી.ત્યાર બાદ રાહુલ ગાંધીની ફરીથી પક્ષના અધ્યક્ષ બનવાની અટકળોએ જોર પકડયું હતું પરંતુ એક નવા સમાચાર મુજબ રાહુલ ગાંધી પોતે જ કોંગ્રેસના અધ્યક્ષ પદે ફરી બેસવાનો ઇનકાર કરી શકે છે.જો કે જો રાહુલ ગાંધી ફરી કોંગ્રેસના અધ્યક્ષ પદે નહીં બેસે તો સોનિયા ગાંધી જ અધ્યક્ષ પદે કાર્યરત રહે એવી સંભાવનાઓ વધારે છે.
વૈકલ્પિક રસ્તો પણ તૈયાર
કોંગ્રેસના અમુક નેતાઓના કહેવા મુજબ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસનું અધ્યક્ષ પદ સાંભળવા માટે મનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં જો રાહુલ ગાંધી પદનો ઇનકાર કરે તો વૈકલ્પિક રસ્તો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. જો રાહુલ નવા પક્ષાધ્યક્ષ ન બને તો સોનિયા ગાંધી જ આ પદ પર કાર્યરત રહેશે. પરંતુ તેમની સાથે ચાર ઉપાધ્યક્ષો અને તેમની નીચે ત્રણ મહાસચિવોની નિમણૂક થઈ શકે છે.આ ચારે ઉપાધ્યક્ષો અધ્યક્ષની સાથે મળીને પક્ષના મહત્વના નિર્ણયો લેશે.
કોંગ્રેસમાં આ તમામ અટકળો વચ્ચે રાજકારણ ગરમાયું છે. જો આ અટકળો સાચી પડે તો આગામી દિવસોમાં કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારો થવાની સંભાવના છે.