નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને રાહુલ ગાંધીના સવાલો પર ભાજપે પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યા છે કે રાહુલ ગાંધીને કાયદાકીય સંસ્થાઓ પર ભરોસો નથી રહ્યો. રવિશંકર પ્રસાદે કહ્યું કે પરિણામ તેમના પ્રમાણે ન આવ્યું તો ઇવીએમ ખરાબ છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવીને તેમણે ગેર જવાબદારીના વલણની હદ વટાવી દીધી છે. તેમણે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી માટે રાહુલ ગાંધીએ અપશબ્દોનો ઉપયોગ કર્યો. જે ભાષા રાહુલ ગાંધીએ વાપરી તે હલકી છે અમે તેને ધિક્કારીએ છીએ.
આજે એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર અશોભનિય ટિપ્પણી કરી છે જેના પોતાની ઇમાનદારી વીશે સૌ કોઇ જાણે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયે રાહુલ ગાંધીના જૂઠનો પર્દાફાશ કર્યો છે. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે તેઓ કોર્ટના નિર્ણયના સ્વીકાર કરશે. હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પર જ સવાલો ઉભા કરી રહ્યા છે. શું રાહુલ ગાંધી કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટથી ઉપર છે?
જણાવી દઇએ કે આ પહેલા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે અમે લોકો રાફેલ ડીલની તપાસ માટે જેપીસીની માંગ કરી રહ્યા છીએ પરંતુ સરકાર આ માટે તૈયાર નથી. સરકારે જણાવવું પડશે કે સીએજીનો રિપોર્ટ ક્યાં છે? આને પીએસીના ચેરમેન ખડગેજીને બતાવવો જોઇએ.