અમદાવાદથી દિલ્લી જતી ફ્લાઈટ કેન્સલ થતાં સુખરામ રાઠવા અમદાવાદ એરપોર્ટ અટવાયા હતા જે બાદ તેઓએ મિટિંગમાં જવાનું ટાળી વિધાનસભા તરફ વાટ પકડી હતી
કોંગ્રેસના વરિષ્ઠ નેતાની દિલ્લીમાં બેઠક
સુખરામ રાઠવા દિલ્લી ન પહોંચી શક્યા
દિલ્લી જતી ફ્લાઈટ કેન્સલ થતાં અટવાયા
કેન્દ્રની સત્તામાં જ્યારથી નરેન્દ્ર મોદી બિરાજમાન થયા ત્યારથી સતત કોંગ્રેસની દશા બગડી રહી છે...કોંગ્રેસનો રાજકીય ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે...લોકસભામાં વિપક્ષના નેતાની ખુરશી ગુમાવનારી કોંગ્રેસ એક બાદ એક રાજ્યમાં હારી રહી છે. ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તેમાંય ગુજરાતમાં ભાજપના સંગઠન સામે પૂરી તાકાતથી ઉતારવા કોંગ્રેસ પણ વ્યૂહરચના બનાવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્લીમાં ધામા નાખ્યા છે. ચૂંટણીમાં કઇ રણનીતિ સાથે ઉતરવું તે અંગે ચર્ચા કરવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રધુ શર્મા રાહુલ ગાંધીને મળવાના છે.
ફ્લાઇટ કેન્સલ થતાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા દિલ્લી ન પહોંચી શક્યા
પણ વિપક્ષ નેતા સુખરામ રાઠવા આ બેઠકમાં ભાગ લઈ નહીં શકે કારણ કે અમદાવાદથી દિલ્લી જતી ફ્લાઈટ કેન્સલ થતાં સુખરામ રાઠવાને અમદાવાદ એરપોર્ટ પરથી જ પાછા ફરવાનો વારો આવ્યો છે. 5 રાજ્યોના પરિણામ બાદ કોંગ્રેસ માટે ગુજરાતની ચૂંટણી મહત્વની છે. આથી જ ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઑ રાહુલ ગાંધીને પક્ષની રણનીતિ અને આગળના કાર્યક્રમની રૂપરેખા તેમજ સંગઠનને કેવી રીતે મજબૂત કરવું તે જણાવવા જઈ રહ્યા છે પણ ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થતાં વિપક્ષ નેતાએ ઢીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો છે. દિલ્હી મિટિંગમાં જઈ ન શકતા સુખરામ રાઠવા ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા છે. અન્ય નેતાઑ ગઈકાલના સાંજના જ બેઠક માટે દિલ્હી પહોંચી ગયા છે.
તિરંગા યાત્રાનું મોટા પાયે આયોજન
વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શનમાં મોડમાં આવી છે. ગુજરાતના કોંગ્રેસ નેતાઓએ દિલ્લી હાઈકમાન્ડના સિનિયર નેતાઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ ચૌધરી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અર્જૂન મોઢવાડીયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. દરમિયાન કોંગ્રેસે આઝાદીના 75માં વર્ષે દેશમાં તિરંગા યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. જેમાં 6 એપ્રીલે સાબરમતિ આશ્રમથી અને 17 એપ્રીલે ચંપારણથી યાત્રા નિકાળશે. આ યાત્રા દરમિયાન આઝાદીમાં કોંગ્રેસની ભૂમિકાથી લોકોને વાકેફ કરાશે.