ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમ્યાન રાહુલ ગાંધીએ ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારનાં મુદ્દા પર મોદી સરકારને બરાબર ઘેરી લીધી. રાહુલે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ હુમલાનાં જવાબદાર આતંકી મસૂદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો પરંતુ બીજેપીની સરકારે મસૂદ અઝહરને હવાઇ જહાજમાં બેસાડીને પાકિસ્તાન મોકલી દીધો.
રાહુલે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, 'બે વિચારધારાઓની લડાઇ છે- એક મહાત્મા ગાંધીની છે અને બીજી શક્તિઓ આ દેશને નબળી કરવામાં લાગેલ છે. આપ જુઓ કે ઇતિહાસમાં પ્રથમ વાર સુપ્રીમ કોર્ટનાં ચાર જજ પ્રેસ પાસે જાય છે અને કહે છે કે અમને કામ કરવા દેવામાં નથી આવતું અને ત્યાર બાદ તુરંત જ જજ લોયાજીનું નામ લેવામાં આવે છે.
સામાન્ય રીતે જનતા ન્યાય માટે સુપ્રીમ કોર્ટની પાસે જાય છે પરંતુ આજનાં હિંદુસ્તાનમાં સુપ્રીમ કોર્ટનાં જજ જનતાની સામે આવીને ન્યાય માંગે છે. હિંદુસ્તાનની સંસ્થાઓ પર આકમણ ચાલુ છે. લોકોને વહેંચવામાં આવી રહેલ છે, નફરત ફેલાવવામાં આવી રહેલ છે અને સાચા મુદ્દાઓની વાત સરકાર નથી કરતી."
ખેડૂતો અને બેરોજગારીને ગણાવ્યો મોટો મુદ્દોઃ
રાહુલે કહ્યું કે, "હિંદુસ્તાનની સામે સૌથી મોટો મુદ્દો હાલમાં છે તો તે છે બેરોજગારી. આજે 45 વર્ષથી પણ વધારે બેરોજગારી છે. મોદીજી મેક ઇન ઇન્ડીયા અને સ્ટાર્ટઅપ ઇન્ડીયાની વાત કરે છે પરંતુ હકીકત તો એ છે કે હિંદુસ્તાનનાં યુવા અલગ-અલગ પ્રદેશોમાં રોજગાર શોધવા ભટકી રહ્યાં છે.
બીજો મુદ્દો છે ખેડૂતોનો. ગુજરાતની ચૂંટણીમાં અમે ખેડૂતોની વાત કરી અને ખેડૂતોએ ગુજરાતમાં અમને પૂરો સહકાર આપ્યો. નરેન્દ્ર મોદીજી 3.5 લાખ કરોડ રૂપિયાનાં 15 લોકોનાં દેવાંને માફ કરે છે પરંતુ ખેડૂતોનાં દેવાંને માફ નથી કરતા અને ઉલ્ટાનું અરૂણ જેટલી કહે છે કે ખેડૂતોનું દેવુંમાફી એ અમારી પોલિસી નથી.
"અમે મસૂદને પકડ્યો, તમે છોડી દીધો":
પુલવામા હુમલાની વાત કરતા રાહુલે કહ્યું કે, 'મસૂદ અઝહરે પુલવામામાં એટેક કર્યો. હું મોદીજીને પૂછવા માંગુ છું કે મસૂદ અઝહરને પાકિસ્તાન કોણે મોકલ્યો? બીજેપીની સરકારે વિશેષ હવાઇ જહાજમાં બેસાડીને અને દેશનાં પૈસા આપીને તેને મોકલ્યો.
હવાઇ જહાજમાં અજીત ડોભાલ પણ એસ્કોર્ટ બનીને પાકિસ્તાન ગયાં. આપ દેશભક્તિની વાત કરો છો. અમે મસૂદ અઝહરને પકડ્યો હતો પરંતુ આપે છોડી દીધો. જે દિવસે પાકિસ્તાન વિરૂદ્ધ લડાઇ થઇ રહી હતી તે દિવસે મોદીજીએ પોતાનાં મિત્રનાં નામે દેશનાં પાંચ એરપોર્ટ કરી દીધાં.