કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ 100 દિવસમાં 8 રાજ્યોનું અંતર કાપ્યું છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાની શરૂઆત તમિલનાડુના કન્યાકુમારીથી થઈ અને પછી તે કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશમાંથી પસાર થઈને રાજસ્થાન પહોંચી છે. કુલ 42 જિલ્લાઓને કવર કરવામાં આવ્યા છે. જયપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજસ્થાનમાં લોકો ચિરંજીવી યોજનાના વખાણ કરી રહ્યા છે. શહેરીજનો રોજગાર ગેરંટીના વખાણ કરી રહ્યાં છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂર્ણ
8 રાજ્યોનું અંતર કાપી પહોંચી રાજસ્થાન
જયપુરમાં રાહુલ ગાંધીએ યોજી પ્રેસ કોન્ફરન્સ
રાજસ્થાનના રાજકીય સંકટ પર મોટું નિવેદન આપ્યું
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના શુક્રવારે 100 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે રાજસ્થાન પહોંચી ગઈ છે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અને રાજસ્થાનના રાજકીય સંકટ પર મોટું નિવેદન આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાનમાં કોઈ અનિર્ણાયક સ્થિતિ નથી. અમારી પાર્ટીમાં થોડું-થોડું બનતું રહે છે. કોઈ વિવાદ નથી. થોડી નિવેદનબાજી થાય છે તો અમને કઈ ફરક નથી પડતો. તેનાથી વધુ પરેશાની ન થવી જોઈએ. જ્યારે 2023ની ચૂંટણી પર તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હું કોંગ્રેસનો અધ્યક્ષ નથી, તેથી ખડગેજીને પૂછો. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે રાજસ્થાનમાં આગામી ચૂંટણી પાર્ટી કોની લીડરશિપમાં લડશે, કે પછી કોઈ ચહેરા વગર લડશે?
અમે ચૂંટણી જબરદસ્ત રીતે જીતીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના લોકો વખાણ કહી રહ્યા છે. શહેરીજનો રોજગાર ગેરંટીના વખાણ કરી રહ્યાં છે. અહીં કેટલાક લોકોએ વીજળી અને ફ્લોરાઈડની સમસ્યા જણાવી છે. બાકી સારો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ થોડી ફરિયાદો તો આવે જ. અમારા કાર્યકર્તાઓ અને નીચલા સ્તરના નેતાઓનો પ્રયોગ કરવામાં આવ્યો તો અમે ચૂંટણી જીતી જશું. આ લોકોને યોગ્ય સ્થાન આપવાની જરૂર છે. અમે ચૂંટણી જબરદસ્ત રીતે જીતીશું.
હેડલાઈન્સમાં સામાન્ય લોકોને સ્થાન નથી મળતુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, નફરતને ઉપરથી ફેલાવવામાં આવી રહી છે. જો નીચેથી જોવામાં આવે તો પ્રેમ છે. તેમણે કહ્યું કે સારા કામોને સામે લાવવામાં આવી રહ્યા નથી. હેડલાઈન્સમાં માત્ર ઐશ્વર્યા રાય, વિરાટ કોહલી અને અમિતાભ બચ્ચન જ રહે છે. પરંતુ સામાન્ય લોકોને સ્થાન નથી મળતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, ચોક્કસપણે મારી અને કોંગ્રેસ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. તે ભાજપ દ્વારા પ્રચારિત કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ એક વૈચારિક પાર્ટી છે. તે ભાજપ સાથે કોઈ સમાધાન નથી કરતી. મારા શબ્દોને માર્ક કરી લેજો- કોંગ્રેસ પાર્ટી ભાજપને નીચે લઈ આવશે.
અમારા ત્રણ લક્ષ્ય છેઃ ગાંધી
તેમણે જણાવ્યું કે, ઘણા લોકો આવ્યા. લાખો લોકો આ યાત્રામાં જોડાયા. સૌથી સારો માહોલ રાજસ્થાનમાં જોવા મળ્યો. અમારા ત્રણ લક્ષ્ય છે. હિંસા અને ડરની સામે ઊભા થવા માંગી છીએ. આ મેસેજ આખા દેશમાં ગયો છે. આ કોંગ્રેસની રાજનીતિની રીત છે. બીજું- બેરોજગારી સામે છે. ત્રીજું- મોંઘવારી અને પસંદગીના લોકોને ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને કોઈ ફાયદો થઈ રહ્યો નથી. રાહુલે કહ્યું કે, આપણા જે સામાન્ય કાર્યકર્તાઓ છે, જેઓ રસ્તા પર લડે છે. તેમને આપણે સ્થાન આપવાનું છે. અમારો હેતુ એકદમ ક્લિયર છે.
ચીન વિશે કોઈ સવાલ નહીં કરેઃ રાહુલ ગાંધી
રાહુલે કહ્યું- હું શરત લગાવી શકું છું કે કોઈ મને ચીન પર સવાલ નહીં કરે. દરેક લોકો અહીં ગેહલોત-પાયલોટ પર સવાલ કરશે. પરંતુ ચીન પર કોઈ કશું પૂછશે નહીં. ચીને આપણો 2 હજાર કિમીનો ચોરસ વિસ્તાર ઉઠાવી લીધો છે. સૈનિકો શહીદ થયા છે. આપણા જવાનોને માર મારી રહ્યા છે. પરંતુ ચીન વિશે કોઈ પૂછતું નથી. આખો દેશ આ જોઈ રહ્યો છે. સરકાર સતત અવગણના કરી રહી છે. પરંતુ તેને ન તો અવગણી શકાય અને ન છુપાવી શકાય. ચીનનું ઓપરેશન ચાલી રહ્યું છે. તૈયારી કરવામાં આવી રહી છે. ભારત સરકાર ઊંઘમાં છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂર્ણ
અત્રે ઉલ્લેખનયી છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ 100 દિવસમાં 8 રાજ્યોનું અંતર કાપ્યું છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ અને તે પછી કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. કુલ 42 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.