કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલન વચ્ચે ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને મૂડીવાદી વર્ગનો સાથ છોડીને ખેડૂતોને ટેકો આપવા વિનંતી કરી છે. તેમના ટ્વીટની સાથે તેમણે 2015 માં સંસદમાં વડા પ્રધાનને આપેલી સલાહનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ વડા પ્રધાનને અપીલ કરી રહ્યા છે કે તેઓ ખેડૂતોના હક માટે કામ કરે.
રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
ખેડૂત આંદોલન અને ખેતી કાયદાને લઈને સાધ્યું નિશાન
૨૦૧૫નો વિડીયો શેર કરીને કહ્યું,' ખેડૂતોનો સાથ આપો મોદીજી'
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "હજી સમય છે, મોદીજી, અન્નદાતાને સાથ આપો, મૂડીવાદી લોકોનો સહકાર છોડી દો, આ ટ્વિટ સાથે તેમણે વર્ષ ૨૦૧૫ નો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ભારતના ખેડૂતોની જમીનની કિંમત ઝડપથી વધી રહી છે અને તમારા કોર્પોરેટ મિત્રો આ જમીન ઇચ્છે છે. તેથી તમે ખેડૂત અને મજૂરને નબળા કરી રહ્યા છો.જ્યારે ખેડૂત નબળો પડી જશે, ત્યારે તમે વટહુકમની કુહાડી પછાડશો.
અમારો પક્ષ માંગ કરે છે કે ત્રણેય કાયદા પરત ખેંચો : રાહુલ ગાંધી
વધુમાં કહ્યું હતું કે કૃષિ કાયદાની વિરુધ્ધ મોટી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીની જુદી જુદી સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે ખેડૂત અને સરકાર વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ સમાધાન મળ્યું નથી. તેથી કાયદાઓ રદ કરવાને બદલે તારીખો ઉપર તારીખો આપો છો પરંતુ અમારો પક્ષ માંગ કરે છે કે સરકાર ત્રણેય કાયદા પાછો ખેંચે. "
મહત્વનું છે કે, પંજાબ, હરિયાણા અને દેશના જુદા જુદા ભાગોના ખેડુતો કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે એક મહિનાથી વધુ સમયથી રાષ્ટ્રીય રાજધાનીની વિવિધ સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે.
શું છે વિવાદ ?
સપ્ટેમ્બરમાં, સરકારે કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારા તરીકે ત્રણેય કૃષિ કાયદા લાગુ કર્યા. સરકારે કહ્યું હતું કે આ કાયદાઓ પછી વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થઈ જશે અને ખેડૂતોને દેશમાં ક્યાંય પણ તેમનું ઉત્પાદન વેચવાની છૂટ આપવામાં આવશે. તે જ સમયે, ખેડૂત ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે આ કાયદા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવ્યા છે અને તે મંડી અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સિસ્ટમને ખતમ કરી નાંખશે.