લોકસભાની ચૂંટણીઓમાં મોટી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની ઓફરને કોંગ્રેસ વર્કિંગ કમિટીએ માનવાનો ઈન્કાર કર્યો છે. સીડબ્લ્યુસીના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને પાર્ટી નેતૃત્વમાં મોટાં પરિવર્તનો કરવાની પણ આઝાદી આપી છે.
એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ વર્કિંગ કમિટીના અધ્યક્ષનું એક પદ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. રાહુલને ચૂંટણીમાં હારનાં કારણો પર વિચાર કરવા અને પાર્ટીને મજબૂત બનાવવા પ્રપોઝલ આપવા તેમજ એક કાર્ય યોજના તૈયાર કરવા માટે કમિટી બનાવવાની સલાહ આપવાનું પણ કહેવાયું છે.
તેની સાથે એમ પણ કહેવાયું છે કે કમિટીના નિષ્કર્ષો અને પ્રપોઝલને સામૂહિક વિચાર માટે પૂર્ણ સીડબ્લ્યુસી મિટિંગમાં રાખવામાં આવે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે પાર્ટીના અકબર રોડ સ્થિત મુખ્યાલય પર એક વર્કિંગ પ્રેસિડન્ટ હાજર હશે તો પાર્ટી અધ્યક્ષને મદદ મળશે અને રાહુલ ગાંધીને રોજિંદાં કામકાજમાંથી મુક્તિ મળી શકશે તેનાથી પાર્ટી અધ્યક્ષ સંગઠન અને રાજકીય કાર્યો માટે દેશભરમાં યાત્રા કરી શકશે. કેરળ અને પંજાબને છોડીને લોકસભા ચૂંટણીને દેશભરમાં કમજોર સ્થિતિમાં સામે આવી છે.
ગાંધી પરિવારની બહાર કોઈ પણ નેતાના વર્કિંગ પ્રેસિડેન્ટ બનવાથી પાર્ટીની અંદર યોગ્ય સંદેશ જશે કેમ કે હજુ પાર્ટીના મુખ્ય નેતૃત્વ પર ગાંધી પરિવારનું નિયંત્રણ છે. રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ છે. સોનિયા ગાંધી સીપીપીના પ્રમુખ છે અને એઆઈસીસીના જનરલ સેક્રેટરી તરીકે પ્રિયંકાને જવાબદારી સોંપાઈ છે.