કેન્દ્ર સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ ખાનગી ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે હવે તેઓ પાર્ટીના અધ્યક્ષ નથી જેના કારણે આ મુદ્દે બેઠક બોલાવી શકતા નથી.
સૂત્રોને મળતી જાણકારી મુજબ કલમ-370 હટાવવાને લઇને પહેલા કોંગ્રેસ પાર્ટીની અંદર જ બે અલગ-અલગ વિભાજન જોવા મળી રહ્યાં છે. જો કે હવે પાર્ટીમાં આ બિલના વિરોધને લઇને સહમતિ જોવા મળી રહી છે. કોંગ્રેસ અનુસાર જેવી રીતે આ બિલને હટાવી દેવામાં આવ્યું તે રીત બરાબર નથી.
કોંગ્રેસના દિગ્ગજ નેતા જનાર્દન દ્વિવેદીએ નિર્ણયને આવકાર્યો
રાજ્યસભામાં એક બાદ એક બિલ પાસ થઈ રહ્યા છે. કાશ્મીરના વિકાસમાં રોડો બનતો કાયદો 370 હટી જતાં દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. કેટલાંક રાજકીય પક્ષો આ બિલ પાસ થતા નારાજ છે. જ્યારે કોંગ્રેસ પણ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી. કોંગ્રેસમાં આ બિલને લઈને વિરોધ છે.
જ્યારે તેમના જ કેટલાંક નેતાઓ બિલનું સમર્થન પણ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે, શરીરનું અંગ ક્યારેય જુદુ ના હોઈ શકે. જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે આ જૂનો મુદ્દો છે. સ્વતંત્રતા બાદ ઘણા સ્વતંત્રતા સંગ્રામ સેનાની ઇચ્છતા નહોતા કે આર્ટિકલ-370 જમ્મૂ-કાશ્મીરમાં રહે.
મોદી સરકારના સમર્થનમાં કોંગ્રેસની યુવા બ્રિગેડ
કોંગ્રેસ ભલે જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 હટાવવા અને જમ્મૂ-કાશ્મીરમાં પૂનર્ગઠન બિલનો ભારે વિરોધ કરી રહી હોય પરંતુ પાર્ટીના કેટલાંક નેતાઓ પાર્ટી લાઇનથી હટીને નિવેદન આપી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના કેટલાંક યુવા નેતાઓ પણ સામેલ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા અને મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ મિલિન્દ દેવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.