ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસનું સંકટ હજી દેશમાંથી ટળ્યું નથી. પરંતુ સરકારે હવે લોકડાઉન મોટા ભાગે માત્ર કન્ટેન્ટ ઝોન સુધી મર્યાદિત કરી દીધું છે અને દેશ અનલોક મોડમાં આવી ગયો છે. સરકારના આ નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતોએ પણ તેને હાલની પરિસ્થિતિ માટે યોગ્ય પગલું માન્યું નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અગાઉ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા હતા, હવે અનલોક કરવાના પગલાનો પણ વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વીટ દ્વારા મોદી સરકારના આ નિર્ણયનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. આ માટે રાહુલ ગાંધીએ ભારતની તુલનામાં કેટલાક દેશોના કોરોના કેસોનો ગ્રાફ અને તે દેશમાં લોકડાઉન અને અનલોકની તારીખ હાઈલાઈટ કરી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ લખ્યું, "નિષ્ફળ લોકડાઉન આ પ્રકારનું દેખાય છે."
રાહુલ ગાંધીએ આમ એટલે લખ્યું છે કારણ કે તેમણે જે દેશોનો ગ્રાફ શેર કર્યો હતો તે દેશોમાં લોકડાઉનની ઘોષણા ત્યારે કરવામાં આવી હતી જ્યારે કોરોના કેસ ઝડપથી વધી રહ્યા હતા અને જ્યારે આ દેશોમાં કોરોના કેસ ઓછા થવા માંડ્યા ત્યારે અનલોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભારતમાં અનલોક કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે.
રાહુલ ગાંધી દ્વારા કોરોના ગ્રાફ શેર કરાયેલા દેશોમાં સ્પેન, જર્મની, ઇટાલી અને બ્રિટન જેવા કોરોના પ્રભાવિત દેશો શામેલ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ દરમિયાન રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર અનેક વખત હુમલો કરી ચુક્યા છે. રાહુલ ગાંધી પોતાના ટ્વિટ્સ દ્વારા લોકડાઉન અંગે સવાલો ઉઠાવતા હતા પરંતુ હવે અનલોકના પગલા પર પ્રશ્નાર્થ કરી રહ્યા છે.