આજે લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચર્ચામાં ભાગ લીધો અને મોડી સરકારને ચેતવણી આપી હતી કે ગમે તે થઈ જાય ખેડૂતો પાછળ હટવાના જ નથી.
દેશને ચાર લોકો ચલાવે છે, હમ દો ઔર હમારે દો : રાહુલ ગાંધી
લખીને લઈ લો, આ ખેડૂતો એક ઇંચ પણ પાછળ નહીં હટે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ બે મિનિટ મૌન ધારણ કરી ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી, સ્પીકર થયા નારાજ
રાહુલ ગાંધીએ લોકસભામાં કર્યું સંબોધન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં સંબોધન કર્યું જેમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પરિવાર નિયોજનના એક સૂત્રના આધારે મોદી સરકાર પર કટાક્ષ માર્યો કે દેશને ચાર લોકો જ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે તેમના સંબોધન દરમિયાન સંસદમાં ખૂબ હોબાળો પણ થયો હતો.
ખેડૂતો તમને હટાવી દેશે પણ તે એક ઇંચ પણ નહીં હટે : રાહુલ ગાંધી
કૃષિ કાયદા પર આંદોલનને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે લખીને લઈ લો. ખેડૂતો એક ઇંચ પણ હટવાના નથી. ખેડૂતો, શ્રમિકો, નાના દુકાનદારો તમને હટાવી દેશે પણ તે પોતે તો એક ઇંચ પણ હટવાના નથી.
હમ દો હમારે દોની સરકાર છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આજે મોદી સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે જેમ કોરોના વાયરસ રૂપ બદલે છે તેમ પરિવારનિયોજનના સૂત્રએ રૂપ બદલ્યું છે. દેશને ચાર લોકો ચલાવી રહ્યા છે- હમ દો, હમારે દો. દરેક વ્યક્તિ જાણે છે કે હમ દો હમારે દોની સરકાર કોની છે. રાહુલ ગાંધીએ કહ્યું કે હમ દો હમારે દો, તમને બધાને યાદ હશે, એક ફોટો આવતી હતી. ક્યૂટ ક્યૂટ ચેહરા હતા. આટલું જ કહેતા સંસદની અંદર જોરદાર હંગામો શરૂ થઈ ગયો.
કૃષિ કાયદાને લઈને રોષે ભરાયા રાહુલ ગાંધી
નોંધનીય છે કે ખેડૂતોના મુદ્દે પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શબ્દબાણ માર્યા. તેમણે કહ્યું કે જ્યારે આ કૃષિ કાયદા લાગુ થશે ત્યારે જે દેશના ખેડૂત છે, શ્રમિકો છે, નાના વેપારી છે તેમનો ધંધો બંધ થઈ જશે. આ કાયદાના કારણે ખેડૂતોના ખેતરો જતાં રહેશે યોગ્ય કિંમત નહીં મળે. નાના વેપારીઓની દુકાન બંધ થઈ જશે અને હવે માત્ર બે લોકો હમ દો, હમારે દો આ દેશને ચલાવશે.
ખેડૂતો અંધારામાં આપણને ટોર્ચ બતાવી રહ્યા છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું કે એવું ન સમજતા કે આ આંદોલન ખેડૂતોનું આંદોલન છે. તમે આ વાત સમજી જજો કે આ આંદોલન દેશનું આંદોલન છે અને ખેડૂતો રસ્તો બતાવી રહ્યા છે. ખેડૂતો અંધારામાં ટોર્ચ બતાવી રહ્યા છે અને આ એક અવાજથી દેશ આખો ઊભો થઈ જવાનો છે. આખા દેશનો અવાજ હવે હમ દો હમારે દોની સામે ઊભો થશે. રાહુલ ગાંધીએ લોકડાઉન સમયમાં થયેલ પલાયનને યાદ કરતાં કહ્યું કે શ્રમિકો ચીસો પાડતા રહ્યા કે અમને બસ કે ટ્રેનની ટિકિટ આપી દો પણ ના તમે ચાલતા ઘરે જતાં રહો.
સંસદમાં ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા મુદ્દે હોબાળો
નોંધનીય છે કે પોતાના સંબોધનના અંતમાં ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોના સન્માનમાં રાહુલ ગાંધીએ બે મિનિટના મૌનનું એલાન કરી દીધું. તેમણે કહ્યું કે જે 200 ખેડૂતો શહીદ થયા છે તે બધાને આ લોકોએ (સત્તાપક્ષ) શ્રદ્ધાંજલિ નથી આપી. હું પોતાના ભાષણના અંતમાં બે મિનિટ તેમના માટે મૌન રહીશ. તમે બધા પણ મારી સાથે ઊભા થઈ જાઓ. જે બાદ રાહુલ ગાંધી અને ઘણા બધા કોંગ્રેસી સાંસદો પોતાના સ્થાન પર મૌન ઊભા રહી ગયા. જોકે આ દરમિયાન શેમ શેમના નારા લાગી રહ્યા હતા અને સ્પીકરે પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી.
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે માનનીય સદસ્યો, મહેરબાની કરીને બેસી જાઓ. આ સદનને ચલાવવાની જવાબદારી મારી છે અને કોઈ પણ સદસ્ય આ રીતે શ્રદ્ધાંજલિ આપશે તો તે ઠીક નથી.