ચોમાસું સત્ર પૂરું થયા બાદ હવે રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા એક માર્ચ કાઢવામાં આવી હતી. તાજેતરમાં ચોમાસું સત્ર સંસદમાં પૂરું થયું હતું. આ સત્રમાં સંસદમાં થયેલ હોબાળામાં સાંસદો સાથે થયેલ ગેરવર્તન મામલે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું,
રાહુલ ગાંધી દ્વારા આરોપ લગાવવામાં આવ્યા
રાહુલ ગાંધીએ આ રેલી દરમિયાન સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં સાંસદો પર હાથ ઉપડ્યા હતા. બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા અને સાંસદો સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. ચેરમેનની જવાબદારી છે સદન ચલાવવાની તો વિપક્ષ પોતાની વાત કેમ રજૂ ન કરી શકે?
પ્રધાનમંત્રી દેશ વેચવાનું કામ કરી રહ્યા છે
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદનું સત્ર બેસતું જ નથી. 60% લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં સાંસદો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે સરકાર સાથે પેગાસસ મામલે વાત કરવાની શરૂઆત કરી હતી. અમે ખેડૂતો, મોંઘવારી અને ઈંધણના ભાવ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. પરંતુ જે થઈ રહ્યું છે તે લોકતંત્રની હત્યા છે.
શિવસેનાના સંજય રાઉતે શું કહ્યું?
શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યસભામાં માર્શલ લો લગાવવામાં આવ્યો હતો. એવું લાગે છે કે અમે પાકિસ્તાનની સીમા પર ઊભા રહી ગયા હતા. સરકાર દ્વારા રોજ લોકતંત્રની હત્યા કરવામાં આવે છે અને અમે સરકાર સામે લડતા રહીશું. આ સિવાય આરજેડીના નેતા મનોજ જા, એનસીપી નેતા પ્રફુલ પટેલ સહિત અનેક વિપક્ષી નેતાઓએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.