રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના શરમજનક પ્રદર્શન બાદ પક્ષમાં ખેંચતાણ ખૂબ વધી ગઈ છે. દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને પક્ષના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને સતત ત્રીજા દિવસે પણ મળવાનો સમય આપ્યો ન હતો. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન સચીન પાઇલટ પણ સતત પ્રયત્ન કરવા છતાં પણ ત્રણ દિવસથી રાહુલને મળી શક્યા નથી.
ઉલ્લેખનીય છે કે નારાજ થયેલા રાહુલને મળવા માટે ગેહલોત અને પાઇલટ ગત રવિવારથી પ્રયત્ન કરી રહ્યા છે પણ રાહુલ સતત તેમને મળવાનું ટાળી રહ્યા છે. ગઈ કાલે મંગળવારે પણ બંને નેતાઓ રાહુલને મળવા માટે તેમના તુઘલક રોડ સ્થિત નિવાસસ્થાને સવારના ૧૧.૦૦ વાગ્યે પહોંચી ગયા હતા પણ આખો દિવસ રાહ જોયા બાદ પણ રાહુલ સાથે તેમની મુલાકાત થઈ શકી ન હતી.
બીજી તરફ રાજસ્થાનમાં સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે કે અશોક ગેહલોતે કારમી હારની જવાબદારી સ્વીકારવી જોઈએ. પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે રાહુલ ગાંધી સાંજના ચાર વાગ્યા બાદ ગેહલોત અને પાઇલટને મળશે, પરંતુ રાહુલે કોઈ પણ નેતાને મળવાનું ટાળ્યું હતું.
આખરે બંને નેતાઓ ફક્ત પ્રિયંકા ગાંધીને મળીને પરત ફર્યા હતા. સીએમ ગેહલોત બાદમાં મોડી સાંજે જયપુર પહોંચી ગયા હતા પણ પાઇલટ આજે દિલ્હીથી રવાના થયા હતા. આજે જયપુરમાં પ્રદેશ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે.
કોંગ્રેસના પ્રદેશ સચિવ સુશીલ આસોપાએ તેમના ફેસબુક પેજ પર લખ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની હારનું મુખ્ય કારણ સચીન પાઇલટને મુખ્યપ્રધાન ન બનાવવાનો નિર્ણય છે. જો પાઇલટ સીએમ હોત તો લોકસભા ચૂંટણીનાં પરિણામો જુદાં જ આવ્યાં હોત. બીજી તરફ હનુમાનગઢના કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ કે.સી. બિશ્નોઈએ કહ્યું છે કે સીએમ ગેહલોતે હારની જવાબદારી સ્વીકારવી જોઈએ.