બિહારમાં સતત થઇ રહેલા ભારે વરસાદથી રાજધાની પટના સહિત ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. પૂરને કારણે રાજ્ય સરકારે સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. આ પૂરને લઇને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને તાત્કાલિક મદદ કરવા આગળ આવવા કહ્યું છે.
રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને મદદ કરવા આહ્વાન કર્યું
સોમવારે રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કરતા મદદ માટે તાત્કાલિક આગળ આવવા કહ્યું છે. એમણે ટ્વિટ કરી કહ્યું કે, બિહારમાં પૂરથી સ્થિતિ વિકટ બની છે અને ઘણા લોકોના મોતના સમાચાર છે. જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું. કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તે પ્રભાવિત લોકોના રાહત અને બચાવ કાર્યમાં તાત્કાલિક લાગી જાય.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગત કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે કહેર વરસાવ્યો છે. બંને રાજ્યોના ઘણા જિલ્લામાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગ અનુસાર આ બંને રાજ્યોમાં આવનારા 48 કલાક મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું હતું કે બંને રાજ્યોમાં આવનાર બેથી ત્રણ દિવસ ખુબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આ દરમિયાન બંને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન દર્શાવાયું છે.
હવામાન વિભાગના અલર્ટ બાદ રાજ્ય સરકારોની મુશ્કેલીઓ વધી ગઇ છે. બિહારમાં સતત થઇ રહેલા વરસાદ અને હવામાન વિભાગના અલર્ટ બાદ સીએમ નીતિશ કુમારે ભારતીય એરફોર્સની મદદ માંગી છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદથી 100થી વધારે લોકોના મોત થયા છે. માત્ર યુપીમાં જ કુલ 93 લોકોના મોત થયા છે. બિહારમાં શુક્રવારથી સતત પડી રહેલા વરસાદથી રેલવે વ્યવહાર અને સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રભાવિત થઇ છે.