પુત્ર મોહમાં પાર્ટીનું પતન કરાવનારા નેતાનો ઉધડો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધો હતો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ એ તમામ વરિષ્ઠ નેતાઓનો ઉધડો લીધો કે જેમણે પોતાના પુત્રોની ટિકિટ માટે લોબિંગ કર્યું હતું. પુત્ર મોહમાં આ નેતાઓ એટલા લિપ્ત થઈ ગયા હતા. કે પુત્રને જીતાડવામાં અન્ય બેઠકો ખોઈ બેઠા.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલે એક તરફ જ્યાં હારની જવાબદારી સ્વીકારી. ત્યાં નામ લીધા વીના તે નેતાઓને ઝાપટ્યા જેમણે ચૂંટણીમાં પાર્ટીની જગ્યાએ પોતાના પુત્ર માટે વધારે મહેનત કરી. સુત્રોના જણાવ્યા મુજબ જ્યારે રાહુલ ગાંધી આ વાત કરી રહ્યા હતા. ત્યારે બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ, અશોક ગહેલોત ઉપસ્થિત હતા. જ્યારે કમલનાથ પોતાના રાજ્યમાં રાજકીય પરિસ્થિતિનું બહાનું બનાવીને બેઠકમાં આવ્યા ન હતા.
સુત્રોના જણાવ્યા મુજબ ટિકિટની વહેંચણી સમયે પોતાના પુત્રોની ટિકિટ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ લોબિંગ કર્યું હતું. વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે પોતાના પુત્ર કાર્તિની ટિકિટ માટે પાર્ટી છોડવા સુધીની ધમકી આપી દીધી હતી. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે પુત્રને ટિકિટ નહીં મળી તો મુખ્યમંત્રી હોવાનો શું ફાયદો ? રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ જીદ કરીને પુત્ર વૈભવની ટિકિટ મેળવી હતી.
રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં એ પણ કહ્યું કે કોઈ પણ ગેર ગાંધી વ્યક્તિ કોંગ્રેસનો અધ્યક્ષ બની શકે છે. તો એવા પણ સમાચાર છે કે લોકસભામાં ખરાબ પ્રદર્શનને કારણે રાહુલ ગાંધી હજુ પણ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા અડેલા છે. રાજીનામા આપવા અડગ રાહુલ ગાંધીની વાત પર ડૉક્ટર મનમોહનસિંહ, એ.કે. એન્ટોની, અને અહેમદ પટેલે કહ્યું કે ઈન્દિરા અને રાજીવ ગાંધીના સમયમાં પણ કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. પરંતુ રાજીનામું તેનો કોઈ વિકલ્પ નથી.
સુત્રોનું માનીએ તો કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓએ રાહુલને પોતાની ટીમમાં બદલાવ કરવાની સલાહ આપી છે. આ નેતાઓનું કહેવું છે કે રાહુલની ટીમમાં વિદેશી યુનિવર્સિટીમાંથી ભણેલા વધારે છે. તેમાં રાજનીતિની સમજ ઓછી છે. આ ઈશારો સામ પિત્રોડા પર પણ હતો.
સુત્રો મુજબ પ્રિયંકા ગાંધીએ બેઠકમાં કહ્યું કે જો રાહુલ ગાંધી રાજીનામું આપે છે તો ભાજપની જાળમાં ફસાઈ જશે. કોંગ્રેસની સાથે હાલ મુશ્કેલી એ છે કે જો રાહુલ ગાંધી પાર્ટી નથી સંભાળતા તો હાલ કોઈ અન્ય વિકલ્પ પણ નથી. પાર્ટીમાં એવો કોઈ નેતા નથી જે રાહુલની જગ્યા લઈ શકે.
રાહુલ ગાંધીનો સૌથી વધારે વસવસો એ વાતને લઈ પણ છે કે જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં આટલી ખરાબ સ્થિતિ કેવી રીતે થઈ. અમેઠીમાં પોતાની હારને પણ રાહુલ સમજી નથી શક્તા. આખરે આવુ કેવી રીતે થઈ ગયું. પરંતુ એ પણ સત્ય છે કે ગાંધી નામ વગર કોંગ્રેસ વિખેરાઈ જાય છે. હવે રાહુલ સામે પડકાર પાર્ટીને નવી રીતે બનાવવાની અને સાચવવાની છે.