આગામી 24 તારીખે T20 વર્લ્ડકપનું ભારતનું મિશન શરૂ થાય છે ત્યારે વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીની જગ્યાએ નવા કોચ ભારતીય ટીમણે મળવાના છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ડિરેક્ટર રાહુલ દ્રવિડ ભારતના આગામી કોચ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો દ્વારા સમાચાર એજન્સીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. માહિતી અનુસાર, દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે રાજી થઈ ગયો છે. દ્રવિડ અને BCCI એ શુક્રવારે રાત્રે IPL ફાઇનલ દરમિયાન આ અંગે વાતચીત કરી હતી.
સૂત્રો અનુસાર દ્રવિડને આ પદ માટે 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ સાથે તેમને બોનસ પણ મળશે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો પગાર 8.5 કરોડ રૂપિયા છે. ટી 20 વર્લ્ડ કપ બાદ દ્રવિડ પોતાનું પદ સંભાળશે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે
ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાતે આવશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.
દ્રવિડ અગાઉ ઇન્ડિયા-એ અને અંડર -19 ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. અને કોચ તરીકે ઉત્તમ કામગીરીના વખાણ પણ મેળવી ચૂક્યા છે.