ગુજરાત લોકસભાની 26 બેઠક પર 23 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. આ પહેલા ભાજપ-કોંગ્રેસે તમામ ઉમેદવારો જાહેર કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે ત્યારે બંને પક્ષો તરફથી ચૂંટણી પ્રચાર માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
એક તરફ જ્યાં ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી સૌરાષ્ટ્રના મતદારોને રિઝવવા માટે જનસભા કરશે જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ ખાતે વેજલપુર અને સાબરમતીમાં રેલીઓનું સંબોધન કરશે.
તો બીજી તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ઉભરી રહેલા પ્રિયંકા ગાંધી આગામી દિવસોમાં ચૂંટણીના પ્રતાર માટે ગુજરાતમાં આવશે. જેમાં પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ સૌરાષ્ટ્રથી થશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મળીને પ્રિયંકાની ત્રણ ચૂંટણી સભા યોજાશે. જાણવા મળી રહ્યું છે પ્રિયંકા અંબાજી અને સોમનાથ દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરશે.
તો આજે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને રાજીવ સાતવ, અમતિ ચાવડા, નરેશ રાવલે સાથે મળીને કોંગ્રેસનો 'અમે નિભાવીશુ' નામનો ચૂંટણી ઠંઠેરો પર રજૂ કર્યો છે. આ સિવાય રાજીવ સાતવ ચૂંટણી પ્રચાર સંબધિત કાર્યક્રમોને આખરી ઓપ આપશે.
લાગી રહ્યુ છે કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં 5થી વધુ જનસભા કરશે તેવી સંભાવના રહેલી છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં પ્રિયંકા ગાંધીને ચૂંટણી પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવી શકે છે. આ પ્રવાસ દરમિયાન પ્રિયંકા સોમનાથ મંદિરના દર્શને પણ જશે.