RBIના મોટા કોર્પોરેટ ગ્રુપ્સને બેન્કિંગ ક્ષેત્રમાં દાખલ થવાની મંજૂરી આપવા માટેની યોજનાની અર્થશાસ્ત્રી રઘુરામ રાજન અને વિરલ આચાર્યએ ટીકા કરી છે.
તેમણે કહ્યું છે કે આ યોજના ભયજનક છે કારણ કે આ પગલાંથી બિઝનેસ હાઉસીસમાં રાજકીય પ્રભુત્વમાં વધારો થશે.
બિઝનેસ હાઉસની પોતાની બેન્ક હોય તેનું આ છે સૌથી મોટું જોખમ
તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે અત્યારની નબળી અર્થવ્યવસ્થાના સમયમાં ભારતે આ પ્રયોગ ન કરવો જોઈએ. સૌથી મહત્વનું કારણ એ છે કે બિઝનેસ હાઉસને પોતાને સતત ફાઇનાન્સની જરૂર હોય છે. તેનો અર્થ એ થયો કે બેન્ક તેના ડિપોઝીટર્સના નાણાં પોતાના જ ધંધામાં રોકશે. આ ધંધામાં ખોટ જાય તો તમામ રોકાણકારોના રૂપિયા અટવાઈ જાય.
20 નવેમ્બરે RBIની ઇન્ટર્નલ વર્કિંગ ગ્રુપે બેન્કની માલિકી મેળવવા માટેની ગાઈડલાઇન્સની તપાસ કરીને તેનો અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં ઔદ્યોગિક જૂથો કેવી રીતે બેન્કિંગ સેકટરમાં પ્રવેશી શકે તે માટે સૂચનો આપવામાં આવ્યા છે. આ સૂચનોને S&P Global જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ જોખમી ગણાવ્યા છે.
કયા બિઝનેસ ગ્રુપ બેન્કિંગ સેક્ટરમાં આવી શકે તેવું કોણ નક્કી કરશે?
રાજન અને આચાર્યએ લખ્યું છે કે આ કયા બિઝનેસ ગ્રુપ બેન્કિંગ સેક્ટરમાં આવી શકે તે માટે એક સ્વતંત્ર લાઇસન્સ વ્યવસ્થા ગોઠવી શકાય. જો કે આ વ્યવસ્થા કેટલી સ્વતંત્ર રહી શકે, તેમાં સરકારની કેટલી દરમિયાનગીરી હોય અને તેમાં ભ્રષ્ટાચાર ન થાય તેની કેટલી ખાતરી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આ પ્રકારની બિઝનેસ પોલિટિકલ લોબી દેશ માટે જોખમી સાબિત થઇ શકે છે.
ઇન્ટર્નલ વર્કિંગ ગ્રુપનો એક જ સભ્ય હતો આ યોજનાની તરફેણમાં
RBI પોતે નોંધે છે કે તેમની બેઠકના મોટા ભાગના સભ્યો આ યોજનાના વિરોધમાં હતા આમ છતાં તેમણે કમિટીની ફાઇનલ ભલામણ તરીકે આ સૂચન મૂકી દીધું જે ખૂબ વિચિત્ર વાત છે.
અત્યારે એક તરફ જયારે ભારત ILFS અને યસ બેન્કની નિષ્ફ્ળતાનું સાક્ષી બન્યું છે ત્યારે આવી જોખમી યોજના બનાવવી એ દર્શાવે છે કે કદાચ સરકાર તેમના ખાનગીકરણના પ્રોગ્રામમાં સરકારી બેંકોના પ્રાઈવેટાઈઝેશનમાં વધુ ખાનગી ક્ષેત્રના ખેલાડીઓને પ્રવેશ આપવા માંગે છે.