RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને 10 મુદ્દાઓનો એક માસ્ટરપ્લાન તૈયાર કરીને એવો દાવો કર્યો છે કે જો મોદી સરકાર આ 10 મુદ્દાઓને લાગુ કરશે તો અર્થવ્યવસ્થા ચોક્કસ પાટા ઉપર આવી જશે.
દેશમાં આર્થિક સુસ્તીમાં પગલે નિરાશાનો માહોલ છે. સરકાર પોતાની તરફથી નિર્ણયો લઇ રહી છે પણ તેની કોઈ વાસ્તવિક અસરો દેખાતી નથી. હાલમાં બીજા ક્વાર્ટરના GDPના આંકડાઓએ ચિંતામાં વધારો કર્યો છે જે 6 વર્ષના સૌથી ખરાબ આંકડા છે. 8 કોર સેક્ટર્સમાં આઉટપુટ વિક્રમજનક ઘટ્યું છે.
આ પરિસ્થિતિ ઉપર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યક્ત કરી છે અને આ સાથે 10 મુદ્દાઓનો એક માસ્ટરપ્લાન તૈયાર કરીને એવો દાવો કર્યો છે કે જો મોદી સરકાર આ 10 મુદ્દાઓને લાગુ કરશે તો અર્થવ્યવસ્થા ચોક્કસ પાટા ઉપર આવી જશે.
કયા છે આ 10 મુદ્દાઓ?
1. જમીન હસ્તાંતરણ : જમીનના માલિકીના સુધારાની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવી જોઈએ. ગરીબ રાજ્યોમાં આખૂબ જરૂરી છે. બળજબરી જમીન હસ્તાંતરણ બને એટલું ઓછું કરવું પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
2. લેબર : લેબરના કોન્ટ્રાક્ટમાં વધુ છૂટછાટ આપવાની જરૂર છે. કાયદામાં એ પ્રકારના સુધારાની જરૂર છે જેમાં કાયમી ન હોય તેવા કામદારોને પણ સમય સાથે પૂરતા પ્રમાણમાં અધિકારો મળી રહે અને પહેલેથી કાયમી કામદારો હોય તેમને વધુ સાચવવામાં આવે.
3. સત્તાનું વિકેન્દ્રીકરણ : ફક્ત કેન્દ્ર સરકાર પાસે સત્તા રાખવાના બદલે રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારને પણ સામેલ કરો. ટેક્સ ઉઘરાવવા માટે રાજ્યોનો પણ ફાળો લો. દેશના અલગ અલગ ખાતા અને રાજ્યોના પ્રધાનોની સત્તામાં વધારો કરો.
4. ઇન્વેસ્ટમેન્ટ : ટેક્સ અને નાણાકીય ઓથોરિટી તેમના કાયદા સતત બદલ્યા ન કરે તેનું ધ્યાન રાખો. તેઓ કાયદામાં જે પણ ફેરફાર કરવા માંગતા હોય તેની પહેલા જાહેરમાં ચર્ચા કરો અને ઉદ્યોગોને આ કાયદાઓના ફેરફારથી અનુકૂળ થવા સમય આપો. એક એવી સ્વતંત્ર એજન્સીનું નિર્માણ કરો જે ગ્રાહકોને વિશ્વાસ અપાવે કે સરકારની બદલાતી નીતિઓમાં તેમના રોકાણ કરેલા રૂપિયા ડૂબી નહિ જાય.
5. ડિસઇન્વેસ્ટમેન્ટ : ડિસઇન્વેસ્ટમેન્ટ કાળજી પૂર્વક થાય તે જરૂરી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ પહેલેથી શક્તિશાળી અને ધનિક હોય તેવા પરિવારોને ન વેચો નહિતર સંપત્તિનું કેન્દ્રીકરણ થઇ જશે.
6. રિયલ એસ્ટેટ / કન્સ્ટ્રક્શન / ઈન્ફ્રાસ્ટ્રક્ચર : વર્ષોથી ખોટ ખાતા ડેવલપર્સને તાત્કાલિક નાદાર જાહેર કરવામાં આવે. સંસાધનોના અભાવે બંધ થઇ ગયેલા અધૂરા પ્રોજેક્ટ્સ ફરી શરુ કરીને તાત્કાલિક પૂરા કરવા માટે સુપર સિનિયર લોન્સ આપવામાં આવે.
8. ઉર્જા અને વીજળી : બધા ઉદ્યોગોને સરખા ભાવે અને સરખી માત્રામાં ઉર્જા અને વીજળી મળી રહે તેની વ્યવસ્થા કરવી જોઈએ. ઉર્જા અને વીજળી આપતી કંપનીઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ.
9. ટેલિકોમ : ટૂંકા ગાળા માટે ટેલિકોમ ક્ષેત્રમાં કંપનીઓ વચ્ચે હરીફાઈ થવી જોઈએ. લાંબા ગાળા માટે હાલમાં ટેલિકોમ ક્ષેત્ર નિયમન કરતી એજન્સીઓ ઉપર પુનઃવિચારણા કરવી જોઈએ.
10. ખેતી : ખેડૂતોને બિયારણ, ટેક્નોલોજી, ઉર્જા, વીજળી, વીમો, નાણાં વગેરે સમયસર મળી રહે તેની વ્યવસ્થા થવી જોઈએ. જમીનને ભાડે આપવી અને ટ્રેકટર જેવા સંસાધનો વહેંચી શકાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતોને ખેતરથી ગોડાઉન, તેને લગતા ઉદ્યોગો અને વેપારીઓ સાથે વધુ સારી રીતે જોડી શકાય તે માટે યોજના બનાવવી જોઈએ. સરકારે પાકના ભાવોમાં દરમિયાનગીરી ઓછી કરવી જોઈએ. કૃષિમાં પ્રચ્છન્ન બેરોજગારોને બીજા ક્ષેત્રમાં ખસેડવા જોઈએ જેથી મૂળ ખેડૂતોને લાભ મળે.