રઘુરામ રાજન 5 સપ્ટેમ્બર, 2013થી સપ્ટેમ્બર 2016 સુધી ભારતીય રીઝર્વ બેંકના ગવર્નર હતા.તેમણે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન બેકિંગ ક્ષેત્ર કે જે ખરાબ લોનથી ભરાયેલી હતી તેની સફાઈ શરુ કરી દીધી હતી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસો પહેલા રઘુરામ રાજન પર આરોપ લાગવતા રાજનના કાર્યકાળને બેન્કિંગ ક્ષેત્ર માટે સૌથી ખરાબ સમય કહ્યો હતો.આરોપ પર જવાબ આપતા રાજને નાણામંત્રીને યાદ અપાવ્યું કે તેમના કાર્યકાળના મોટા ભાગના સમયમાં ભાજપની જ સરકાર હતી.
રઘુરામ રાજને નાણામંત્રીના આરોપ પર આપ્યો જવાબ
કાર્યકાળમાં મોટાભાગનો સમય ભાજપ સરકાર દરમિયાન વિતાવ્યો
રાજને કહ્યું કે મજબુત સરકાર લાવી શકે છે મોટા સુધારા
કાર્યકાળના 26 મહિના હતી ભાજપની સરકાર
"હું કોંગ્રેસ સરકાર સમયે માત્ર આઠ મહિના સુધી રહ્યો અને ભાજપ સરકાર દરમિયાન મેં 26 મહિના વિતાવ્યા. આમ મેં મારા કાર્યકાળનો વધારે સમય આ સરકાર હેઠળ જ હતો." એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન રઘુરામ રાજને વાત કરી. નિર્મલા સીતારમણે ન્યૂયોર્કમાં કહ્યું હતું કે મનમોહનસિંઘ અને રઘુરામ રાજનના સમયમાં જાહેર ક્ષેત્રની બેંકોની હાલત સૌથી વધારે ખરાબ હતી.રાજને વધુમાં કહ્યું કે તે આ વિષય પર રાજનીતિક ચર્ચામાં પડવા માંગતા નથી. તેમણે કહ્યું કે મને કોઈ આગળ પાછળની રાજકીય વાતોમાં પડવું નથી. વાસ્તવિકતા એ છે કે અમે એક સફાઈ કામ શરુ કર્યું હતું જે હજુ ચાલુ જ છે. દેશમાં વિમૂડીકરણ તો કરી દેવામાં આવ્યું પરંતુ નોન-બેન્કિંગ ક્ષેત્રમાં સફાઈની જરૂર છે, જો તમારે મજબુત વિકાસ જોઈએ તો તમારે આ કરવું જ પડશે.
સરકાર પાસે વિઝનની કમી
રઘુરામ રાજન જે પૂર્વમાં RBIના ગવર્નર રહી ચુક્યા છે તેમણે સરકારના અર્થવ્યવસ્થા પરના મેનેજમેન્ટની ટીકા કરી છે. Brown Universityમાં લેકચર દરમિયાન રાજને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે સરકાર અર્થવ્યવસ્થાના મોરચા પર સારું કામ નથી કરી રહી કારણ કે સરકાર પાસે કઈ રીતે અર્થવ્યસ્થાના વિકાસને હાસિલ કરવો તેના માટે કોઈ વિઝન નથી.
નાણામંત્રીએ સાધ્યું હતું નિશાન
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે હું રઘુરામ રાજનની એક સ્કોલર તરીકે હું તેમનું આદર કરું છું. તેમના જ કાર્યકાળ દરમિયાન મોટા નેતાઓના માત્ર ફોન-કોલથી લોકોને લોન આપી દેવામાં આવતી હતી અને જેનું પરિણામ દેશની પબ્લિક સેકટરની બેંકો આજદિન સુધી ભોગવી રહી છે.
બેન્કોમાં વધ્યા NPA
બેંકો દ્વારા થયેલા ખરાબ રોકાણો ઓછા કરવા પર તેમણે કહ્યું કે ઘણા લોકો કહે છે કે અમે સફાઈનું કામ કેમ શરુ કર્યું જેમ બધાને લોન મળતી હતી તેમ જ ચાલુ રાખવામાં શું વાંધો હતો પરંતુ હકીકત એ છે કે બેંકમાં ખરાબ લોનના કારણે NPA વધી રહ્યા હતા જેથી અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા માટે તેની ખુબ જરૂર હતી જે અમે કર્યું.
રાજને કહ્યું કે તેમનું કામ અધૂરું રહી ગયું છે જે પૂરું થવું જોઈએ
રાજને વધુમાં જણાવાતાં કહ્યું હતું કે હવે તો તે વધુ ઝડપથી આ કામ થઇ શકે છે. આપણે જે સ્તર પર અત્યારે છીએ ત્યારે આ કામ વધારે જલ્દીથી કરવું પડશે. ફાઈનેન્શીયલ સીસ્ટમમાં બદલાવ લાવવા માટે જે નવી નોન બેન્કિંગ સમસ્યાઓ ઉભી થઇ છે તેને સુલજાવવાની જરૂર છે જો તેમ કરવામાં નહિ આવે તો નાણાકીય ક્ષેત્ર દેશના અર્થતંત્ર પર હાવી થઇ જશે.
મંદ અર્થવ્યવસ્થા પર નિવેદન
મંદ અર્થવ્યવસ્થા પર પોતાના વિચાર મુકતા રઘુરામ રાજને વિકાસદર પર કહ્યું કે 2016ની શરૂઆતના તબક્કામાં આર્થિક વિકાસદર 9 ટકા હતો જે હાલમાં 5 ટકા છે. ખરેખર દેશમાં આર્થિક મંદી છે. હું માનું છું કે 5 ટકાનો વિકાસ દર પૂરતો નથી. 5 ટકાના વિકાસદરે વધતી અર્થવ્યવસ્થા રોજગારી ઉત્પન્ન ન કરી શકે. ભારતને વિકાસ કરવા માટે એક મજબુત વિકાસદરની જરૂર છે, હાલમાં દેશમાં મજબુત સરકાર છે જે સુધારાઓ લાવી શકે છે અને આ સુધારાઓ થકી દેશને આગળ લઇ જઈ શકાય છે.