ફ્રાન્સીસી લડાકૂ રાફેલ વિમાન જલ્દી જ ભારતીય વાયુસેના દળમાં સામેલ થવા જઇ રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલ વિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાન્સ જશે. પહેલા આ વિમાન ભારતને 20 સપ્ટેમ્બરે મળવાના હતા. પરંતુ હવે આ તારીખ આગળ ખસેડવામાં આવી છે. હવે ભારતને 8 ઓક્ટોબરે રાફેલ વિમાન મળશે.
રાજનાથ સિંહ વાયુસેનાની એક ટીમ સાથે 8 ઓક્ટોબરે ફ્રાન્સ જશે. આ દિવસે વાયુસેના દિવસ પણ છે તથા વિજયાદશમી પણ આવી રહી છે. એવામાં ભારતને મળનાર રાફેલ વિમાનની તારીખ ઐતિહાસિક બનવા જઇ રહી છે. વિજયાદશમીના દિવસે ઘણી જગ્યાએ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે, એવામાં ભારતને તેનું સૌથી મોટું હથિયાર મળવા જઇ રહ્યું છે.
રાજનાથ સિંહ ફ્રાન્સના બોર્ડેક્સમાં એક મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટમાં જશે, જ્યાંથી રાફેલ લેવામાં આવશે. રક્ષા મંત્રીની સાથે વાયુસેનાની એક ટીમ જશે જે રાફેલને રિસીવ કરવાની આખી પ્રક્રિયા પૂર્ણ કરશે. આ ઉપરાંત વાયુસેનાના ફાયટર પાયલટ પણ આ ટીમ સાથે ફ્રાન્સ જશે.
નોંધનીય છે કે રાફેલ વિમાન ડીલ ગત કેટલાક વર્ષોમાં સૌથી ચર્ચિત અને વિવાદિત ડીલમાંથી એક રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર આ ડીલમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો.