રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચાર અંગે ફ્રાન્સની વેબસાઈટના ખુલાસા બાદ સુપ્રીમ કોર્ટમાં નવી જનહિતની અરજી દાખલ થઈ છે.
રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારનો કેસ
વકીલ એમએલ શર્માએ નવી અરજી દાખલ કરી
સુપ્રીમ કોર્ટ બે અઠવાડિયા બાદ સુનાવણી કરશે
વકીલ એમએલ શર્માએ નવી અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટની સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ જણાવ્યું કે સુપ્રીમ આ કેસમાં બે અઠવાડિયા બાદ સુનાવણી કરશે. જોકે સુપ્રીમે કોઈ તારીખ નક્કી કરી નથી.
અરજદાર શર્માએ ચીફ જસ્ટિસ બોબડે સમક્ષ આ કેસ ઉઠાવ્યો હતો. શર્માએ જણા્યું કે તેઓ 23 એપ્રિલે ચીફ જસ્ટિસની નિવૃતી પહેલા એક નવી અરજી પર સુનાવણીની અપીલ કરે છે. ચીફ જસ્ટિસ બોબડેએ આ કેસની સૂચિબદ્ધ કરવાની સહમતિ આપી દીધી છે.
ભારત અને ફ્રાંસની વચ્ચે વર્ષ 2016-17માં રાફેલ લડાકૂ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયા હોવાના ઘણા દાવા કરવામાં આવ્યા હતા ત્યારે હવે ફરી આ કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. ફ્રાંસની એક વેબસાઇટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાંસની કંપની ડસોલ્ટ દ્વારા ભારતના એક વચેટિયાને એક મિલિયન યુરો ગિફ્ટ સ્વરૂપે આપવા પડ્યા હતા. મીડિયા અહેવાલમાં ખુલાસા બાદ હવે ફરી વાર આ ડીલ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
શું છે દાવો?
ફ્રાંસની એક રિપોર્ટમાં દાવો કરાયો છે જ્યારે વર્ષ 2016માં આ ડીલ કરવામાં આવી હતી ત્યારે ફ્રાંસની કંપનીએ ભારતના વચેટિયાને પૈસા આપ્યા હતા. વર્ષ 2017માં ડસોલ્ટ ગ્રુપના અકાઉન્ટમાંથી ગિફ્ટ ટૂ ક્લાયન્ટ્સના નામે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
કંપની પર લાગ્યા ગંભીર આરોપ
ફ્રાંસની એન્ટિ કરપ્શન એજન્સી દ્વારા જ્યારે ખાતાઓનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આ માહિતી સામે આવી હતી. જોકે રિપોર્ટમાં એવો પણ દાવો છે કે આ વાત સામે આવ્યા બાદ કોઈ એક્શન લેવામાં આવ્યો નથી. ફ્રાંસના રાજનેતાઑ સાથે કંપનીની મિલીભગત હોવાની આશંકા બતાવવામાં આવી રહી છે.
ભારતીય વચેટિયાને નાણાં અપાયા હોવાનો દાવો
જોકે આ બધા આરોપો પર ડસોલ્ટ ગ્રુપ દ્વારા કોઈ જવાબ આપાવામાં આવ્યા નથી અને ઓડિટ એજન્સીને પણ આ મુદ્દે કોઈ જવાબ આપવામાં આવ્યા નથી, કંપની એ વાતની સ્પષ્ટતા આપી શકી નથી કે આ રાશિ કઈ રીતે અને કેમ આવી હતી. જે ભારતીય કંપનીનું નામ તે રિપોર્ટમાં લેવામાં આવ્યું છે તે પહેલા પણ વિવાદોમાં રહી છે. રિપોર્ટ અનુસાર કંપનીનો માલિક ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં જેલ જઈ આવ્યો છે.
શું છે આખી ડીલ?
નોંધનીય છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે લડાકૂ વિમાનને લઈને આ ડીલ કરવામાં આવી છે જેમાં 36 વિમાન ભારત આવવાના છે. એક ડઝન ભારત આવી પણ ગયા છે જ્યારે 2022 સુધીમાં બધા જ વિમાન ભારત આવી જવાના છે. જ્યારે આ ડીલ થઈ ત્યારે દેશમાં ખૂબ જ વિવાદ સામે આવ્યો હતો રાહુલ ગાંધીએ આ મામલાને જોરશોરથી ઉપાડ્યો હતો.