રાધનપુર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો વાગ્યો છે. ઠાકોર આગેવાન ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે ટિકિટ કાપતા તેઓ ભાજપમાં જોડાયા હતાં. કોંગ્રેસે રાધનપુરથી રઘુ દેસાઇને ટિકિટ આપી હતી.
કોંગ્રેસે ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં રાધનપુર બેઠક પર રઘુ દેસાઈને ટિકિટ આપી છે. રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈની સીધી ટક્કર થશે. ત્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ટિકિટ ન મળતા ચૂંટણી પહેલા ગોવિંદજી ઠાકોર ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે રાધનપુર બેઠક પર માલધારી સમાજમાંથી રઘુ દેસાઈને ટિકિટ આપી છે. જેથી અહીં ઠાકોર અને માલધારી સમાજના ઉમેદવાર વચ્ચે જંગ જામશે.
ભાજપમાં જોડાવા મામલે ગોવિંદજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તરફથીમને ઉમેદવાર પસંદ કરીને મેન્ડેટ કરવાની વાત ચાલી રહી હતી ત્યારે મોવડીમંડળ દ્વારા નિર્ણય બદલેલો જેને લઇને મને લોકોની સેવાનો કરવાનો મોકો ન મળ્યો. જેને લઇને હું ભાજપમાં જોડાયો છું અને ભાજપને જીતાડવાના પ્રયત્નો કરીશ.
ટિકિટની ફાળવણી પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, રાધનપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગોવિંદ ઠાકોરના નામ પર મહોર વાગી છે. ત્યારે ગોવિંદ ઠાકોરે પણ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. પરંતુ જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થયા ત્યારે ગોવિંદ ઠાકોરને નહીં પરંતુ રઘુ દેસાઇને ટિકિટ આપવામાં આવી. જેને લઇને ગોવિંદજી ઠાકોર પક્ષથી નારાજ થઇને પક્ષપલ્ટો કર્યો છે.
મહત્વનું છે કે, રાધનપુર ભાજપ ચૂંટણી કાર્યાલયમાં ગોવિંદ ઠાકોર હાજર રહ્યાં હતાં. મંત્રી દિલીપ ઠાકોર સાથે ગોવિંદ ઠાકોર પણ હાજર રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી કુલ 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેના 10 ઉમેદવારો વચ્ચે પેટાચૂંટણીમાં ટક્કર થશે. કોંગ્રેસ, ભાજપ અને NCP વચ્ચે ખરાખરીનો જંગ જામશે.