શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી સ્કૂલને અચાનક જ ગુજરાતી માધ્યમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
વિશ્વ ભારતી સ્કૂલની દાદાગીરી
ગુજરાત માધ્યમ બંધ કરવાનો લીધી નિર્ણય
વિદ્યાર્થી અને વાલીઓ મુશ્કેલીમાં
ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત. આ સ્લોગન તો ગુજરાતની સરકારે સુંદર રાખ્યું છે. પરંતુ ગુજરાતની શાળાઓ પર સરકારની કોઈ પક્કડ નથી રહી. ત્યારે જ તો ગુજરાતની શાળાઓ મન પડે ત્યારે ફી વધારી દે છે. મન પડે ત્યારે શાળાઓ શરૂ અને બંધ કરે છે. અને હવે બાકી હતું તે શાળાઓમાં અચાનક માધ્યમ પણ બદલવા માંડી છે. આવું કાંઈક અમદાવાદમાં થયું છે. જ્યાં 400 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ મુકાયો છે. કારણ કે, શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી સ્કૂલને અચાનક જ ગુજરાતી માધ્યમ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વાલીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.
વિશ્વ ભારતી સ્કૂલની દાદાગીરી બાદ વાલીઓની ચિંતાઓ વધી છે. કારણ કે, નવી શાળાઓમાં તાત્કાલીક એડમિશન મેળવવું પણ તેમના માટે અઘરું છે. બીજી તરફ શાળાએ પણ વાલીઓને પહેલા કહેવાની જગ્યાએ એન્ડિંગ સમયે જણાવ્યું છે. તેવામાં શાળાના સંચાલકોની ભૂમિકા અને તેમના આ પ્રકારના નિર્ણય પર વાલીઓ સવાલો ઉઠાવી રહ્યા છે.
અહીં સવાલ એ થાય છે કે, વિશ્વ ભારતી સ્કૂલે કેમ પહેલા વાલીઓને ન જણાવ્યું? શું આ પ્રકારનો નિર્ણય લેતા પહેલા વાલીઓને જણાવવું યોગ્ય ન સમજ્યું? 6 મહિના પહેલા કેમ માધ્યમ બદલવાનો નિર્ણય ન કર્યો.? 400 વિદ્યાર્થીઓના એડમિશન તાત્કાલીક ક્યાં થશે? સવાલો તો અનેક છે. પરંતુ આશા રાખીએ કે, આ પ્રકારની દાદાગીરી સામે શિક્ષણ વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરશે.