કતારની સરકાર હસ્તક કંપની કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ (QIA) મુંબઈના મોટા વિસ્તારોમાં વીજળી પુરી પાડતી અદાણી ઈલેક્ટ્રીસીટીનો 25.1% હિસ્સો તોતિંગ 3200 કરોડ એટલે કે 450 મિલિયન ડોલરમાં ખરીદવાની તજવીજ હાથ ધરી છે.
આ ડીલમાં અદાણીનું કુલ વેલ્યુએશન થયું 12800 કરોડ રૂપિયા
રેગ્યુલેટરી ઓથોરિટીની પરવાનગી પછી 2020માં થશે આ ટ્રાન્સેક્શન
અબજોપતિ બિઝનેસમેન ગૌતમ અદાણીએ ગયા વર્ષે અનિલ અંબાણી પાસેથી મુંબઈમાં વીજળી વિતરણનો બિઝનેસ 13251 કરોડ રૂપિયામાં ટેકઓવર કર્યો હતો.
મુંબઈ વીજળી વિતરણનો બિઝનેસ અદાણી ટ્રાન્સમિશન નામની પબ્લિક લિસ્ટેડ કંપની વડે થાય છે જેનો 75% હિસ્સો કંપનીના પ્રમોટર્સને હસ્તક છે. આ 75%માંથી 44% ફાઇનાન્શ્યલ કંપનીઓના રોકાણમાં છે.
આ ડીલ બાદ અદાણીનો શેર 2% વધીને રૂપિયા 342એ બુધવારે બંધ થયો હતો. નોંધનીય છે કે અદાણી ટ્રાન્સમિશન હાલ રૂપિયા 17900 કરોડના દેવામાં છે. QIA અદાણીને આ દેવામાં મદદરૂપ થશે.
પ્રદૂષણ રહિત વિદ્યુત સપ્લાયનો સંકલ્પ
QIA અને અદાણી ટ્રાન્સમિશને કહ્યું હતું કે તેઓ 2023 સુધીમાં મુંબઈના કુલ વીજળીના સપ્લાયમાંથી 30% પાવર સૌરઉર્જા અને પવન ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય અને પ્રદૂષણરહિત સ્ત્રોતથી મેળવવાનો ધ્યેય નક્કી કર્યો છે. અદાણી ઈલેક્ટ્રીસીટી મુંબઈમાં 30 લાખથી વધુ ગ્રાહકોને અને શહેરની 55% વીજળી સપ્લાય કરે છે.
ગૌતમ અદાણીએ 1988માં અમદાવાદથી બિઝનેસ શરુ કર્યો હતો. તેઓ જોખમ ઘટાડવા માટે ગેસ વિતરણ, પેટ્રોકેમિકલ્સ અને બીજા ક્ષેત્રોમાં સતત વિદેશી કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરે છે.
QIAએ હાલમાં જ ભારતની એજ્યુકેશન ટેક્નોલોજી કંપની Byju'sમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.